ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્ન મોકૂફ, ફેરા ફરતા પહેલા પિતાને આવ્યો હાર્ટ એટેક
Smriti Mandhana Wedding Postponed: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુચ્છલના હાઈ-પ્રોફાઈલ લગ્ન રવિવારે યોજાવાના હતા. લગ્નના મુહૂર્ત પહેલા જ સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાને હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા, પિતાના સ્વાસ્થ્યને કારણે બંને પરિવારોએ લગ્ન મુલતવી રાખવાનો લીધો નિર્ણય.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના અને જાણીતા સંગીતકાર પલાશ મુચ્છલના લગ્ન હાલ પૂરતા મોકૂફ રાખવામાં આવ્યા છે. રવિવારે યોજાનારા આ હાઈ-પ્રોફાઈલ લગ્ન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ એક દુઃખદ ઘટનાને કારણે ખુશીનો માહોલ ચિંતામાં ફેરવાઈ ગયો છે.
લગ્ન સમારોહમાં મેડિકલ ઇમરજન્સી
રવિવારે સવારે જ્યારે મંધાના પરિવારમાં લગ્નની શરણાઈઓ ગુંજવાની તૈયારી હતી, ત્યારે અચાનક સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત લથડી હતી.
મળતી માહિતી મુજબ, લગ્ન સમારોહનું આયોજન જ્યાં કરવામાં આવ્યું હતું તે સ્મૃતિ મંધાનાના ફાર્મહાઉસ પર જ તેમના પિતાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.
ઇમરજન્સી સર્જાતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે લગ્નસ્થળ પર ઉત્સાહનું વાતાવરણ ગમગીનીમાં ફેરવાઈ ગયું હતું.
લગ્ન મોકૂફ રાખવાનો કઠિન નિર્ણય
શ્રીનિવાસ મંધાનાની ગંભીર નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં રાખીને, બંને પરિવારોએ એક કઠિન નિર્ણય લીધો છે.
ડોક્ટરોની સલાહ મુજબ, પિતાને હાલ સારવાર અને નિરીક્ષણ માટે હોસ્પિટલમાં જ રહેવું પડશે.
પિતા હોસ્પિટલના બિછાને હોય તેવી પરિસ્થિતિમાં લગ્નનો પ્રસંગ યોજવો શક્ય ન હોવાથી, આયોજકો અને પરિવારજનોએ સર્વસંમતિથી લગ્ન હાલ પૂરતા મુલતવી રાખ્યા છે.
નોંધનીય છે કે, ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સંગીતકાર-દિગ્દર્શક પલાશ મુચ્છલ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને ચાહકો આ જોડીના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
હાલમાં સ્મૃતિ મંધાના અને તેમનો પરિવાર પિતાના સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છે, અને લગ્નની નવી તારીખ પિતાના સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ જ જાહેર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
