T20 World Cup 2021 : શા માટે ભારતીય ટીમ ફ્લોપ થઈ? સુનિલ ગાવસ્કરે આપ્યા આ બે કારણો
ન્યૂઝીલેન્ડે રવિવારના રોજ અફઘાનિસ્તાન સામે જીત મેળવી હતી, ત્યારે લાખો ભારતીય ચાહકોનું હૃદય તૂટી ગયું હતું.
T20 World Cup 2021 : ન્યૂઝીલેન્ડે રવિવારના રોજ અફઘાનિસ્તાન સામે જીત મેળવી હતી, ત્યારે લાખો ભારતીય ચાહકોનું હૃદય તૂટી ગયું હતું. જો ન્યુઝીલેન્ડ આ મેચ હારી ગયું હોત તો ભારત ICC T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી શક્યું હોત, પરંતુ એવું થયું નહીં. ન્યુઝીલેન્ડે સુપર 12 ગ્રુપ 2માં 5 મેચમાંથી 4 જીત સાથે સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે.
આ સાથે જ પાકિસ્તાને સતત 4 મેચ જીતીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે, પરંતુ ભારતીય ટીમ તેની પ્રથમ બે મેચ હાર્યા બાદ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી.
ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા ભારતીય ટીમને ટાઈટલ જીતવાની દાવેદાર માનવામાં આવી રહી હતી, પરંતુ કેટલીક ભૂલો થઈ ગઈ જેના કારણે ટીમનું ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. આવા સમયે દરેક ભારતીય ટીમના પ્રદર્શનની ટીકા કરી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ ભારતીય સુકાની સુનીલ ગાવસ્કરે ટીમના પ્રદર્શન પર પોતાનો અભિપ્રાય આપતા બે કારણો આપ્યા હતા, જેના કારણે ટીમ ટુર્નામેન્ટમાં ફ્લોપ રહી હતી.
પાવરપ્લેમાં ન બતાવી શક્યા પાવર
ગાવસ્કરને લાગે છે કે, ભારતીય બેટ્સમેન્સ તેમની શરૂઆતની બંને મેચમાં પાવરપ્લે દરમિયાન રન બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
ગાવસ્કરને લાગે છે કે, ભારતના અભિયાન માટે જે ખરાબ સાબિત થયું તે પાવરપ્લેમાં તેના બેટ્સમેન્સની અસમર્થતા હતી.
આ માત્ર આ ટુર્નામેન્ટમાં જ મુદ્દો નથી રહ્યો, પરંતુ છેલ્લા કેટલાક આઈસીસી ઈવેન્ટ્સમાં પણ જોવા મળ્યો છે.
સ્પોર્ટ્સ ટોક પર ગાવસ્કરે કહ્યું, "એક ટીમમાં વધુ પડતા ફેરફાર કરવા યોગ્ય નથી, કારણ કે એવું નથી કે ભારત તેની તમામ મેચ હારી ગયું છે.
બે મેચમાં બેટ્સમેન્સ એવી ભૂમિકા ભજવી શક્યા નહીં જેની અપેક્ષા હતી. ભારતની આ સ્થિતિ કેમ છે. હવે અભિગમ બદલવાની જરૂર છે.
વાત એ છે કે, પ્રથમ 6 ઓવરમાં 30 યાર્ડ સર્કલની બહાર માત્ર 2 ફિલ્ડર હોય છે, છેલ્લા કેટલાક સમયથી ભારતે તેનો લાભ લીધો નથી.
આ જ કારણ છે કે, જ્યારે પણ ભારત એક મજબૂત ટીમનો સામનો કરે છે, જેના બોલર્સ મજબૂત હોય, ત્યારે ભારત સ્કોર કરી શકતું નથી. તેથી તેને બદલવાની જરૂર છે.
ફિલ્ડિંગ વધુ સારી હોવી જોઈએ
આ સિવાય ગાવસ્કરે આપેલું બીજું કારણ ખરાબ ફિલ્ડિંગ છે. તેમને લાગે છે કે, ભારતીય ફિલ્ડર્સ તે રીતે ફિલ્ડિંગ નથી કર્યું કરતા જે રીતે અન્ય ટીમે કરી બતાવી છે.
જ્યારે હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ કદાચ દેશની અત્યાર સુધીની સૌથી ફિટ છે, પરંતુ તમામ તેટલા ઝડપી નથી. ગાવસ્કર માને છે કે જો ભારતે આવનાર સમયમાં વધુ સારું પ્રદર્શન કરવું હોય તો તેને વધુ સારું કરવાની જરૂર છે.
ગાવસ્કરે કહ્યું કે, બીજું અને સૌથી મહત્ત્વનું ટીમ પાસે એવા ખેલાડીઓ હોવા જોઈએ જેમની ફિલ્ડિંગમાં અદ્ભુત હોય. ન્યૂઝીલેન્ડે જે રીતે ફિલ્ડિંગ કરી, રન બચાવ્યા, કેચ પકડ્યા તેમાં અને આપણી ફિલ્ડિંગમાં ઘણો તફાવત છે.
જો તમે ભારતીય ટીમને જુઓ તો 3-4 ફિલ્ડિર્સ સિવાય કોઈ પણ વ્યક્તિ રન બચાવશે અથવા બાઉન્ડ્રી માટે ડાઇવ કરશે એવી અપેક્ષા રાખી શકો નહીં.
ટોસ ને કારણ ન ગણાવ્યું
આ સિવાય ગાવસ્કરે ભારતની હારનું કારણ ટોસ સ્વીકાર્યું નથી. ભારત પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે 10 વિકેટે હારી ગયું હતું અને ન્યુઝીલેન્ડ સામે 8 વિકેટે હાર્યું હતું.
આ બંને મેચમાં કોહલીએ ટોસ હાર્યો હતો. એવું માનવામાં આવતું હતું કે, ટોસની ગેરહાજરીને કારણે પરિણામ ભારતના હિતમાં નથી, પરંતુ ગાવસ્કર એવું માનતા નથી.
ગાવસ્કરે કહ્યું, હારનું મુખ્ય કારણ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની બોલિંગ હતી, જેણે આપણા બેટ્સમેન્સને સંપૂર્ણપણે મુક્તપણે રમવાની તક આપી ન હતી.
જો અફઘાનિસ્તાન જેવી આપણી બેટિંગ આ બે ટીમ સામે પણ જોવા મળી હોત અને 200થી વધુ રન બનાવ્યા હોત તો ઝાકળમાં બહુ ફરક ન પડત. કારણ કે ત્યારે બચાવ કરવા માટે 30-40 વધારાના રન થયા હોત.
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે ભારતીય ટીમ એટલા રન બનાવી શકી ન હતી કે અમારા બોલરો બચાવ કરી શકે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો