પાકિસ્તાન સામેની મેચ ભારત માટે કરો યા મરો સમાન
આ વિશ્વકપમાં ભારતે અત્યારસુધી માત્ર ઇંગ્લેન્ડની ટીમને હરાવી છે તો પાકિસ્તાનને પોતાની તમામ મેચો જીતી છે અને ટીમ જોરદાર ફોર્મમાં છે. પાકિસ્તાનની ટીમે આ પહેલાની મેચમાં દક્ષિણ આફ્રિકાને બે વિકેટથી હરાવ્યું હતું અને તેને સેમીફાઇનલમાં પહોંચવા માટે માત્ર એક જીતની જરૂર છે.
આ હાઇવોલ્ટેજ મુકાબલા અંગે ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનું કહેવું છે કે એ વાતમાં જરા પણ શંકા નથી કે પાકિસ્તાન હાલ સારી સ્થિતિમાં છે અને અમારે સ્પર્ધામાં બની રહેવા માટે આ મેચ જીતવી પડશે. અમે આ મુકાબલા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને પરિણામ અંગે ચિંતા નહીં કરીને મેદાન પર 100 ટકા પ્રદર્શન કરીશું. બીજી તરફ પાકિસ્તાનના સુકાની મોહમ્મદ હાફીઝે કહ્યું છે કે ભારત વિરુદ્ધ મેચ હંમેશા દબાણ લઇને આવે છે, પરંતુ અભ્યાસ મેચમાં ભારત સામે જીત્યા પછી અમારો આત્મવિશ્વાસ વધ્યો છે અને અમે હકારાત્મક વિચાર સાથે મેદાન પર ઉતરીશું.
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની મેચમાં શાનદાર પ્રદર્શન કરીને મેન ઓફ ધ મેચ બનેલા ઉમર ગુલે કહ્યું છે કે ભારત વિરદ્ધની મેચ ઘણી કપરી હશે. આ મેચમાં બન્ને ટીમો પર દબાણ હશે, કારણ કે બન્ને દેશોના લોકો તેમની ટીમ હારતી જોવા ઇચ્છતાં નથી.
ભારત અને પાકિસ્તાને અત્યાર સુધી ટી-20 વિશ્વકપમાં એકબીજા વિરુદ્ધ બે મેચ રમી છે, જેમાં બન્ને ભારતે જીત હાંસલ કરી છે. આ બન્ને મેચો ટી-20 વિશ્વકપ 2007માં રમાઇ હતી. પહેલાં વિશ્વકપમાં એક મેચ ભારતે બોલ આઉટના નીયમપ્રમાણે તો બીજી મેચ પાંચ રનથી જીતી હતી જે ફાઇનલ મેચ હતી. આ મેચમાં ભારતે મોટા અંતરથી વિજય હાંસલ કરવા ઇચ્છશે.