ત્રીજા T20માં ભારતનો વિજય, ચહલ-પટેલ સામે આફ્રિકા ઘુંટણીયે!
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી T20 શ્રેણીની ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ મેચ મંગળવારે રમાઈ હતી. આ મેચ વિઝાગ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ હતી.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી T20 શ્રેણીની ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ મેચ મંગળવારે રમાઈ હતી. આ મેચ વિઝાગ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ હતી. આ મેચ યજમાન ટીમ ભારત માટે નિર્ણાયક હતી, કારણ કે પાંચ મેચોની શ્રેણીમાં 0-2થી પાછળ હતુ. આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ભારતીય ટીમે 48 રનથી મેચ જીતી લીધી હતી.
દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી ભારત તરફથી બેટિંગ કરવા આવેલા ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશન બંનેએ અડધી સદી ફટકારી હતી. ભારતે તેની પ્રથમ વિકેટ 10મી ઓવરના છેલ્લા બોલ પર ગુમાવી હતી. તે સમયે ભારતનો સ્કોર 97 રન હતો. તે પછી જો કે ભારત ગતિ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યું. હાર્દિક પંડ્યાએ 21 બોલમાં 31 રન ફટકારીને ઈનિંગના અંતે ભારતને 179 સુધી પહોંચાડ્યું.
ભારતના 179 રનના લક્ષ્યાંકનો પીછો કરવા માટે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ સંઘર્ષ કર્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાએ 23 રનમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ ભારતીય બોલરો સતત વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. ખાસ કરીને ભારત માટે છેલ્લી બે મેચોમાં નિરાશાજનક બોલર રહેલા યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેની બોલિંગે ભારતને મેચમાં પ્રભુત્વ જમાવવામાં મદદ કરી. આ સિવાય બોલર હર્ષલ પટેલે ભારત માટે સારૂ પ્રદર્શન કરતા તેની 3.1 ઓવરમાં 25 રનમાં 4 વિકેટ લીધી હતી. જે મેચની શ્રેષ્ઠ બોલિંગ હતી.
આ દરમિયાન શ્રેણીની ચોથી T20 મેચ 17 જૂન શુક્રવારે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ પણ ભારત માટે કરો યા મરો મેચ હશે. ભારત પાસે ચોથી મેચ જીતીને શ્રેણી બરોબરી કરવાની તક હશે.