રીતિ સાથે જોડાયા બાદ ચમક્યા જાડેજાના સિતારા
નવી દિલ્હી, 4 જૂનઃ આઇપીએલમાં એક વર્ષના પ્રતિબંધ અને ભારતીય ટીમથી બહાર હોવાના કારણે રવિન્દ્ર જાડેજા જ્યારે ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેણે રીતિ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ સાથે કરાર કર્યા, જેના કારણે અચાનક જ તેના સિતારા ચમકવા લાગ્યા અને ભારતીય ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીના મનપસંદ ખેલાડીની યાદીમાં તે સામેલ થઇ ગયો.
જાડેજાના પ્રબંધકનું કામ 2006થી 2011 સુધી કોલાજ સ્પોર્ટ્સ મેનેજમેન્ટે જોયું પરંતુ ત્યારબાદ તે રીતિ સ્પોર્ટ્સ સાથે જોડાય ગયા. આ પહેલા તે ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો હતો. તેના પર અન્ય કોઇ ફ્રેન્ચાયઝી ટીમ સાથે કરાર કરવાના પ્રયાસોમાં 2010માં આઇપીએલમાં રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ વચ્ચે તેને ભારતીય ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો અને તે વિશ્વકપની ટીમનો ભાગ ના બની શક્યો.
કોલાજ સ્પોર્ટ્સ મેનેજમેન્ટની લતિકા ખનેજાએ કહ્યું કે, રવિન્દ્ર જાડેજાનું કામ 2006થી 2011 સુધી મારી કંપની જોઇ રહી હતી પરંતુ જો કોઇ ખેલાડી અન્ય કોઇ ફર્મ સાથે જોડાવા માગે છે તો તમે તેને રોકી શકો નહીં, ખાસ કરીને ત્યારે જ્યારે એ કંપની ભારતીય સુકાનીનું કામ પણ જોઇ રહી હોય. વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરો.
સપ્ટેમ્બર 2011માં ભારતીય ટીમમાં પુનરાગમ કર્યું
આ ઓલરાઉન્ડરે સપ્ટેમ્બર 2011માં ભારતીય ટીમમાં પુનરાગમ કર્યું અને પછી ફેબ્રુઆરી 2012માં આઇપીએલની હરાજીમાં તે ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે જોડાયો. ચેન્નાઇના સુકાની મહેન્દ્ર સિંહ ધોની છે. જાડેજા ત્યારબાદ ભારતીય ટીમનો મહત્વનો ભાગ બની ગયો. ભારતે જાન્યુઆરી 2012 બાદ 24 વનડે મેચ રમી જેમાંની 17 મેચોમાં જાડેજા હતો. આ મેચોમાં તેણે 273 રન બનાવ્યા અને 17 વિકેટ ઝડપી.
ટેસ્ટ ક્રિકેટમાં પણ પર્દાર્પણ કરવાની તક મળી
આ ટૂર્નામેન્ટમાં એક અન્ય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ પણ ટીમનો હિસ્સો હતો પરંતુ તેને માત્ર ચાર મેચ રમવાની તક મળી હતી. પઠાણે આ ચાર મેચોમાં 96 રન બનાવ્યા જેમાં તેનો સર્વાધિક સ્કોર 47 રન હતો. તેણે છ વિકેટ પણ મેળવી હતી. જાડેજાને ત્યારબાદ ટેસ્ટ ક્રિકેટમાં પણ પર્દાર્પણ કરવાની તક મળી. ત્યાં સુધી કે ધોનીએ ઓઝા કરતા વધારે મહત્વ જાડેજાને આપ્યું.
કીર્તિ આઝાદે નોંધાવ્યો હતો વિરોધ
જાડેજાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાં ચાર મેચો રમી, જ્યારે ઓઝા માત્ર બે મેચ જ રમી શક્યો હતો. આ શ્રેણી દરમિયાન ઓઝાએ પણ રીતિ સ્પોર્ટ્સ સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો. પૂર્વ ભારતીય ક્રિકેટર કીર્તિ આઝાદે પણ ઓઝાના સ્થાને જાડેજાને મહત્વ આપવામાં આવતા તેનો વિરોધ કર્યો હતો.
ગરબડ હોવાની જાગી આશંકા
તેમણે કહ્યું કે, જ્યારે મે જોયું કે ઓઝાને બીજા નંબરનો ડાબોડી બોલર બનાવી દેવાયો છે અને આઇપીએલમા પ્રતિબંધનો સામનો કરી ચૂકેલા રવિન્દ્ર જાડેજાને અચાનક 20 લાખ ડોલરની કિંમતથી લેવામાં આવ્યો તો મને આમા કંઇક ગરબડ હોવાની આશંકા થઇ.