રાજનીતિમાં નહીં આવે, પોતાની શાળા ખોલશે સૌરવ ગાંગુલી
કોલકાતા, 17 જાન્યુઆરી: ટીમ ઇન્ડિયાના પૂર્વ ધૂરંધર કપ્તાન સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે મને લાગે છે કે હું મેદાનમાં જ શાનદાર પ્રદર્શન કરી શકું છું, રાજનીતિ મારા માટે નથી. તેમણે ભાજપ તરફથી લોકસભા ચૂંટણી લડવાના પ્રસ્તાવનો ઇનકાર કરી દીધો છે. ગાંગુલી મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઓફિસમાં એક શાળાના નિર્માણનો પ્રોજેક્ટ લઇને આવ્યા હતા.
અત્રે નોંધનીય છે કે ડિસેમ્બરમાં પશ્ચિમ બંગાળમાં પાર્ટી ઇન્ચાર્જ વરૂણ ગાંધી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાહુલ સિંહાએ સૌરવને તેમની પસંદની લોકસભા બેઠકથી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ સૌરવે આ પ્રસ્તાવને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો.
પશ્ચિમ બંગાળમાં સૌરવની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી ઘણી રાજનીય પાર્ટીઓ તેમને પોતાની સાથે જોડવા માટે ખૂબ જ ઉત્સુક અને ઉતાવળી છે, પરંતુ ગાંગુલી હંમેશા એવું કહીને રાજનીતિમાં જવાનો ઇનકાર કરતા રહ્યા છે કે તેઓ મેદાનમાં જ સારુ પ્રદર્શન કરી શકે છે બીજે ક્યાંય નહીં.