દીપોત્સવ પર માતા લક્ષ્મીના આ મંદિરના દર્શન જરુર કરો, થશે ભરપૂર કૃપા
દિવાળીના શુભ અવસર પર દેવી લક્ષ્મીની પૂજા જરૂરી છે. એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મી ઘરે આવે છે. ત્યારે તમે આ ખાસ અવસર પર ભારતના પ્રખ્યાત લક્ષ્મી મંદિરોની મુલાકાત લઈ શકો છો

મા લક્ષ્મી પદ્માવતી, તિરુપતિ
આંધ્ર પ્રદેશના તિરુપતિમાં સ્થિત મહાલક્ષ્મીનું પદ્માવતી મંદિર એકમાત્ર એવું મંદિર છે જ્યાં દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને સૂર્ય એકસાથે રહે છે. તિરુપતિ બાલાજી મંદિરની મુલાકાતે આવતા ભક્તો પહેલા પદ્માવતી મંદિરની મુલાકાત લે છે, કારણ કે એવું કહેવાય છે ,કે દેવી લક્ષ્મી ભક્તોની પ્રાર્થના ભગવાન વેંકટેશ્વર સુધી પહોંચાડે છે.
એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીનો જન્મ ભગવાન વેંકટેશ્વર દ્વારા બનાવવામાં આવેલા તળાવમાં ખીલેલા સોનેરી કમળમાંથી થયો હતો. આ દેવીને લક્ષ્મી પદ્માવતી કહેવામાં આવે છે કારણ કે તેણીની ઉત્પત્તિ કમળ (પદ્મા)માંથી છે. દિવાળી પર આ સ્થાન પર એક અલગ જ ભવ્યતા જોવા મળે છે અને લાખો ભક્તો માતાજીના દર્શને આવે છે.
દક્ષિણનું સુવર્ણ મંદિર
તમિલનાડુના વેલ્લોરમાં દેવી લક્ષ્મીનું એક ભવ્ય મંદિર પણ છે, જે શ્રીપુરમ મહાલક્ષ્મી સુવર્ણ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરને દક્ષિણનું સુવર્ણ મંદિર પણ કહેવામાં આવે છે, કારણ કે આ મંદિર લગભગ 1500 કિલો શુદ્ધ સોનાથી બનાવવામાં આવ્યું છે. વિશ્વના અન્ય કોઈ મંદિરમાં આટલું સોનું નથી. દિવાળીના અવસર પર આ મંદિરની સુંદરતા વધુ વધી જાય છે. પ્રકાશમાં ચમકતા આ મંદિરને જોવાનો અનુભવ ખૂબ જ અદભૂત છે.
મા કામાક્ષી, કાંચીપુરમ
મા કામાક્ષી મંદિર ભારતના 51 શક્તિપીઠોમાં સામેલ છે. મંદિરના ગર્ભગૃહમાં કામાક્ષી દેવીની સુંદર પ્રતિમા, ત્રિપુરા સુંદરીની પ્રતિમા સ્થાપિત છે. આ દેવીનું એકમાત્ર શક્તિપીઠ છે, જેમાં કામાક્ષી માતાની એક આંખમાં લક્ષ્મીજીનો વાસ છે અને બીજી આંખમાં મા સરસ્વતીનો વાસ છે. આ ઉપરાંત સંકુલમાં અન્નપૂર્ણા અને મા શારદાના મંદિરો પણ સ્થાપિત છે. આ મંદિરમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ખાસ રીતે ઉજવવામાં આવે છે.
દેવી લક્ષ્મીનું સૌથી જૂનું મંદિર
કોલ્હાપુર સ્થિત મહાલક્ષ્મી મંદિરમાં માતા લક્ષ્મી અંબાબાઈના રૂપમાં બિરાજમાન છે. આ મંદિરનો ઈતિહાસ અંદાજે 1300 વર્ષ જૂનો માનવામાં આવે છે. આ સાથે આ મંદિર વિશ્વના સૌથી જૂના મહાલક્ષ્મી મંદિરોમાં સામેલ છે. મંદિરમાં હાજર અંબાબાઈની પ્રતિમાની વિશેષતા એ છે કે અહીં મહાલક્ષ્મીની પ્રતિમાનું મુખ પશ્ચિમ તરફ છે. દેવીની સામે પશ્ચિમી દિવાલ પર એક નાની બારી છે, જેના દ્વારા દેવી લક્ષ્મીના ચરણોનો અભિષેક કરતી વખતે સૂર્યના કિરણો મધ્ય ભાગ પર પડે છે અને પછી તેમના ચહેરા પર પડે છે.












Click it and Unblock the Notifications
