લુપ્ત થઇ ગયેલા ભારતના પાવર હબ ગણાતા શહેરો
ભારત અનેક એવી બાબતો પોતાની અંદર છુપાવીને બેસેલું છે કે જેને જાણવા અને સમજવા માટે વિશેષ શોધ સંશોધન અવાર નવાર કરવામાં આવે છે. ક્યાંક ભારતની ઐતિહાસિક ઇમારતો પોતાના શાસકો અને સમયની સાક્ષી પૂરે છે તો ક્યાંક પૌરાણિક મંદિરો પોતાની વાસ્તુકળાના કારણે જગ વિખ્યાત બન્યા છે. જો કે, આ વખતે વાત ઇમારતો કે મંદિરો અથવા તો કુદરતી સૌંદર્યની નથી કરી રહ્યાં.
આ વખતે અમે ભારતના એવા શહેરો અંગે જણાવી રહ્યાં છીએ કે જે એક સમયે પાવર હબ ગણાતા હતા. જેઓના રાજા શક્તિશાળી હતા. જેમની રહેણી કહેણી શ્રેષ્ઠ હતી. જે અમુક સમય બાદ લુપ્ત થઇ ગયાં. જે અંગેની માહિતી મેળવવા પુરાતત્વવિદો દ્વારા સમયાંતરે શોધ હાથ ધરવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ ભારતના આ લુપ્ત થઇ ગયેલા શહેરોને.
વિજય નગર
વિજયનગર સામ્રાજ્ય મધ્યકાલીન દક્ષિણ ભારતનું એક સામ્રાજ્ય હતું. આ રાજ્યનો 1565માં પરાજય થયો અને રાજધાની વિજયનગરને સળગાવી દેવામાં આવ્યું હતું. રાજધાની વિજય નગરના અવશેષ આધુનિક કર્ણાટક રાજ્યના હમ્પી શહેર નજીક મળી આવ્યા છે, તેને વર્લ્ડ હેરિટેજ પ્લેસ જાહેર કરવામાં આવ્યું છે.
પૂમ્પુહર
પુહાર નામથી જાણીતું પૂમ્પુહર તમિળનાડુનું શહેર છે, જે પ્રાચીન કાલમાં કાવેરી પુહામ પટ્ટન નામનું એક પોર્ટ સિટી હતું. જે ચોલા વંશની અસ્થાયી રાજધાની હતું. સાતમી સદીમાં નોંધવામાં આવેલા પ્રમાણે એક સમયે આ શહેરમાં હાઇરાઇઝ બિલ્ડિંગ્સ હતી. જો કે 500 ઇ.માં એક સુનામીના કારણે આ શહેરનો મોટોભાગ નષ્ટ થઇ ગયો હતો.
મુઝિરીસ
મુઝિરીસ તમિળમાં આવેલું સાઉથ વેસ્ટર્ન ભારતનું એક પ્રાચિન સીપોર્ટ અને અર્બન સેન્ટર હતું, જે 1 સદીમાં ગાયબ થઇ ગયું હતુ. આ પોર્ટ થકી સાઉથ ઇન્ડિયન્સ અને ઇજિપ્તિયન, ગ્રીક, રોમન એમ્પાયર સાથે વ્યપાર થતો હતો. કહેવાય છે કે આ સ્થળ કેરળના કોચિનથી 18 માઇલ દૂર છે.
લોથલ
લોથલ (સરગવાળા)ની શોધ ઇ. સ. ૧૯૫૪ના નવેમ્બર માસમાં કરવામાં આવી હતી. લોથલ શબ્દનો અર્થ મૃત્યુ પામેલા થાય છે. લોથલ કેન્દ્ર સરકાર દ્રારા રક્ષિત અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી પ્રાચીન જગ્યા છે. ઇ.સ.પૂર્વે ૨૩૫૦માં કુદરતી હોનારતને કારણે તમામ ઘરો આવાસો નાશ પામ્યા.
કાલીબંગા
કાલીબંગા રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાનું એક પ્રાચિન અને ઐતિહાસિક શહેર છે. અહીં હડપ્પા સંસ્કૃતિના ઘણા રસપ્રદ અને મહત્વપૂર્ણ અવશેષ મળ્યા છે.
દ્વારકા
દ્વારકા શહેરને સંસ્કૃતમાં દ્વારાવતી કહેવામાં આવે છે તથા ભારતના સાત પ્રાચિન શહેરોમાંનુ એક છે. આ શહેર ભગવાન કૃષ્ણનું ઘર હતું. ઘર્મ ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે માત્ર આ એક એવું સ્થળ છે જે ચાર ધામ તથા સપ્તપુરીના નામથી ઓળખાય છે. કૃષ્ણના મૃત્યુ બાદ એક મોટુ પૂર આવ્યું, જેમાં આ શહેર ડૂબી ગયું.
પટ્ટકલ
આ કર્ણાટકની એક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, આ એક મહત્વનું પ્રવાસન સ્થળ છે, જે આજે તેમના ચાલુક્યન સમયના સ્મારકના કારણે જાણીતું છે.
ધોલાવીરા
ધોલાવીરાને ત્યાં મળી આવેલા હડપ્પા સંસ્કૃતિના અવશેષે પ્રસિદ્ધ બનાવ્યું છે. આ શહેર પુરાતત્વવિદોને તેમની સંસ્કૃતિ, ભાષા અને શહેરના નિર્માણ અંગે વાસ્તુ યોજનાઓ અંગે જ્વલંત વિચારો આપે છે.