ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
હાર્દિક પટેલ લાઇવ સભાને સંબોધશે, એટીએમ પર ત્રાટક્યા તસ્કરો, કોંગ્રેસે યુવાનોને રિઝવવા કર્યો પ્રયાસ...આ તમામ સમાચારો વિષે વિસ્તૃત માહિતી જાણો અહીં.
[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
નોટબંધીનો 11મો દિવસ: ખેડૂત, સામાન્ય લોકોની પ્રતિક્રિયાઓ વાંચો
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
રવિવારે હાર્દિક પટેલ કરશે લાઇવ સંબોધન
20 નવેમ્બર 2016, રવિવારે ગુજરાતના બે વિસ્તારોમાં પાટીદારો વિશાળ રેલી નીકાળવાના છે. જે મુજબ એક રેલી રાજકોટમાં નીકળશે. જેમાં 50000 હજાર પાટીદારો હાજરી આપે તેવી શક્યતા છે. તો બીજી રેલી સુરેન્દ્ર નગરમાં નીકળશે જેમાં પણ 15000 હજાર જેટલા પાટીદારો જોડાવાના છે. ત્યારે આ રેલી બાદ પાસ કન્વીનર હાર્દિક પટેલ લાઇવ સભા સંબોધશે. ત્યારે આ રેલી ફરીથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવે તેવી શક્યતા છે.
યુવાનોને ધ્યાનમા રાખતા કોગ્રેસની મહત્વની જાહેરાત
રાજકોટમાં કોંગ્રસનાં નેતા અર્જૂન મોઢવાડીયાની પત્રકાર પરિષદ યોજી હતી. જેમા અર્જૂન મોઢવાડીયાએ કોંગ્રેસની "નવસર્જન યુવા રોજગાર અધિકાર" યોજનાની જાહેરાત કરી હતી. જે મુજબ જો કોંગ્રેસ પક્ષ સત્તામાં આવશે તો રાજ્યનાં ફિક્સ પગાર દારોને પુરૂ વેતન અપાશે તથા રાજ્યમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરાશે તેવું કહેવામાં આવ્યું હતું. સાથે જ બેરોજગાર યુવાનોને રોજગારી ન મળે ત્યાં સુધી બેરોજગાર ભથ્થુ અપાશે તેમ જણાવ્યું હતું અને તેમણે બેરોજગાર યુવાનો માટે ઓનલાઇન અને ઓફલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ શરૂ કરવાની જાણકારી આપી હતી.
સાંસદ નારણ કાછડિયાની કારનો અકસ્માત
ભાજપના સાંસદ નારણ કાછડિયાની કારનો શુક્રવારે અકસ્માત થયો હતો જેમાં તેમનો તથા કારમાં સવાર ભાજપના પૂર્વ પ્રમુખ કાનાબારન પણ બચાવ થયો હતો. કાર જ્યારે અમરેલીના વાકિયા ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બાઈક ચાલને બચાવવા જતાં અમરેલી ભાજપના સાંસદ નારણ કાછડિયાની કાર ઝાડ સાથે અથડાઇ હતી. જેમાં સાંસદ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.કાનાબાર તેમજ ઉદ્યોગપતિ હસુભાઈ સતાણી કારમાં સવાર હતા. અકસ્માતમાં બાઇક સવારને સામાન્ય ઇજા પહોંચી હતી જેને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો.
ગોધરામાં એટીએમ પર તસ્કરો ત્રાટક્યા
સરકારે જાહેરાતા કરી હતી કે હવે એટીએમમાં નાણા ઉપલબ્ધ છે ત્યાર પછી તસ્કરોએ ગોધરામાં એટીએમને નિશાન બનાવ્યુ હતું અને પંચમહાલના ગોધરા તાલુકાના કાકણપુર ગામે ટાટા ઇન્ડીકેશ એટીએમ મશીનને રાત્રે ગેસ કટરથી આખુ કાપી નાખ્યું હતુ. જોકે આ ઘટનાની જાણ પોલીસને 6 દિવસ પછી કરવામાં આવતા આશ્ચર્ય સર્જાયુ છે. એટીએ તૂટ્યા પછી સંબંધિત અધિકારીએ 6 દિવસ બાદ ફરિયાદ આપવામાં કરી છે તેથી પોલીસને પણ પ્રશ્ન થયો હતો કે શા માટે 6 દિવસ બાદ ફરિયાદ નોંધાવી? જોકે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ આરંભી છે.
સુરતમાં જોવા મળ્યો નોટબંઘી પર ખેડૂતોનો આક્રોશ
નોટબંધીથી ગુજરાતના ખેડૂતોને જે નુક્શાન થઇ રહ્યું છે તેનો વિરોધ કરવા માટે સુરતમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ટ્રેક્ટર અને ટ્રક સાથે રેલી નીકાળી હતી. 300થી વધુ ખેડૂતોએ ચુસ્ત પોલિસ બંદોવસ્ત સાથે વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી પોતાની સમસ્યાઓને વ્યક્ત કરી હતી.