નોટબંધીનો 11મો દિવસ: ખેડૂત, સામાન્ય લોકોની પ્રતિક્રિયાઓ વાંચો
નોટબંધીના 11માં દિવસે ગુજરાતમાં રહેતા ખેડૂતો, સામાન્ય લોકો મોદી સરકારના આ નિર્ણય અંગે શું કહેવા માંગે છે જાણો અહીં
આજે નોટબંધી 11મો દિવસ છે. જૂની નોટ રદ્દ થયા પછી સરકાર તરફથી નવા નવા નિયમો જાહેર થઇ રહ્યા છે જેથી કરીને લોકોને સરળતા રહે અને કાળા નાણાં પર સકંજો કસી શકાય. આજે ખાલી વરિષ્ઠ નાગરિકો જ બેંકમાં જૂની નોટો જમા કરાવી શકશે. આ જાહેરાતને વરિષ્ઠ નાગરિકોએ આવકારી છે. ત્યારે બેંકમાં શાહી લગાવવા મામલે પણ લોકોનો મિક્સ પ્રતિસાદ આવી રહ્યો છે.
આજે નોટ બદલવા બેંક જઇ રહ્યા છો તો વાંચો આ સમાચાર
બીજી તરફ ગામડાના ખેડૂતો આ નોટબંધીથી સૌથી વધારે મુશ્કેલીમાં મૂકાયા છે. ખેડૂતો માટે આ સમય તેમની મહેનતથી ઉગાવેલા પાકથી કમાવવાનો હતો. પણ નોટબંધ થતા જ, તે બિયારણ કે ખાતર બન્નેની ખરીદી કરી શક્યા નથી. બીજી તરફ માર્કેટયાર્ડ બંધ થતા તેમનો પાક વેચાયા વગર પડ્યો છે. ત્યારે ગુજરાતમાં અમદાવાદ, ડીસા જેવા વિસ્તારોમાં રહેતા ખેડૂતો, વરિષ્ઠ નાગરિકો અને તમારા મારા જેવા સામાન્ય લોકોની આ નોટબંધી પર શું પ્રતિક્રિયા છે જાણો અહીં....
આ ભાઇને તો ખાલી બોલવું છે અમારે ઘર ચલાવવાનું છે!
મોદીજી 10 દિવસ રોકાયા હોત, તો ખેડૂત ખુશ હોત: રાહી
રાહી ડીસાના વતની છે અને મગફળીને બટાકાનો ખેડૂત છે. તેમનું કહેવું છે કે મોદીએ જો આ નિર્ણય 10 દિવસ પછી જાહેર કર્યો હોત ને તો ખેડૂત આટલી મુશ્કેલીમાં ના મૂકાયો હોય. રાહી જણાવ્યું કે આ સમય ખેડૂતો માટે તેમનો મગફળી પાક વેચી રોકડા કમાવવાનો હતો. અને તે રૂપિયાની નવા પાક માટે બિયારણ અને ખાતર મેળવવાનો હતો. પણ નોટબંધ થતા તેમના જેવા અનેક ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.
બિયારણ તો મળે છે પણ ખાતર નથી: રાહી
રાહીએ જણાવ્યું કે બજારમાં બિયારણ તો ઓળખાણ પર મળે છે પણ ખાતર આપવા કોઇ તૈયાર નથી. એટલે કે બીજ છે પણ ફર્ટિલાઝર નથી, અને ખાલી બિયારણ, ખાતર વગર નકામા છે. તેમણે જણાવ્યું કે બજારમાં ચેકથી ખાલી ઓળખીતાને ખાતર મળે છે. વળી હાલ તેમના માટે મગફળી વેચી માર્કેટ યાર્ડમાં પૈસા લેવાનો સમય હતો. જે ખેડૂતોનો માલ વેચાયો છે તેમના પૈસા અટવાયા છે અને જે ખેડૂતોનો માલ વેચાયો નથી તેને માર્કેટ ખૂલે તેની રાહ જોતા બેઠા છે. અને કદાચ યાર્ડે ખૂલી પણ જશે અને પછી જો માલ ઓછી કિંમતે ખરીદાયો તો તેનું નુક્શાન થશે તે પણ ખેડૂતના જ ભાગે આવશે. ત્યારે મોદી સાહેબ 10 દિવસ પછી નોટબંધી જાહેર કરી હોત તો મારા જેવા જેવા ખેડૂતે આવી મુશ્કેલી ના પડી હોત તેવું રાહીએ જણાવ્યું હતું.
હેમંત ભાવસાર
શાહી લગાવવાની આ વ્યવસ્થા ઘણી સારી છે જેની તાતી જરૂર પણ હતી. નિશાનને કારણે લોકો જે એક વાર પૈસા લઈ ગયા છે તે બીજી વાર નહી આવે. બેંકમાં થોડી તકલિફ તો પડે છે પરંતુ હવે તો ઘણી વ્યવસ્થા કરવામા આવી છે તેથી મુશ્કેલી ઓછી થઈ છે.
પ્રવિણભાઈ
હું થલતેજ વિસ્તારમાં આવેલી એસબીઆઈમા ગયો હતો, અહીં સરકારે આગલા દિવસે જ શાહીનો નિર્ણય જાહેર કર્યો હતો. પરંતુ બેંકમાં શાહી ન આવી હોવાથી તેઓ કોઈ પણ ગ્રાહકને નિશાન તરીકે શાહી લગાવી શક્યા નહોતા. તેથી લાઇનો યથાવત હતી અને બેંકને પણ સુવિધા કરાવનું મુશ્કેલ પડ્યું હતુ. જોકે આજે લાઇનમાં ઘણા ઓછા લોકો જોવા મળી રહ્યા છે.
નીરજ પટેલ, સીએના વિદ્યાર્થી, અમદાવાદ
હાથ પર શાહીના નિર્ણય તેમજ સરકાર દ્વારા ફટાફટ કરન્સી પહોંચાડવામાં આવી છે તેના લીધે બેંકમાં લાઇનો ઘણી ઓછી જોવા મળી રહી છે. હું પોતે સીએ સ્ટુડન્ટ છું તેથી જાણું છું કે કેશ ગણીને આપવી તેના હિસાબ કરવા તેની સાથે સાથે સતત જે નિયમ પ્રમાણેના ફોર્મ ચેક કરવા હોય તે કામ કરવામાં ઘણી સાવધાની રાખવી પડે તેમ છે. મારી પરીક્ષા પત્યા બાદ હું કાલે બેંકમાં ગયો ત્યારે મેં જોયું કે કેટલાક કર્મચારીઓ તો જમવાના સમયે પણ બેસીને પણ કામ કરતા હતા. અને પ્રયત્ન કરતા હતા કે ગ્રાહકોને લાંબો સમય ઉભા ન રહેવું પડે. આ બાબત લાંબા સમયથી બહાર ભીડમાં ઉભેલા લોકો ન સમજે એટલો થોડો હોબાળો તો થાય જ, પરંતુ પ્રમાણમાં ઘણું સારું કામ થઈ રહ્યું છે અને પૈસા પણ ફટાફટ મળી જાય છે જો લોકો શાંતિથી ઉભા રહે તો બેંકમાં પૈસા જમા કરવાતા અને લેતા હવે પંદર મિનિટથી વધુ સમય જતો નથી. અને બીજી વસ્તુ એ છે કે જ્યારે થોડા કડક અને સારા પગલાં લેવા હોય જેનો ફાયદો નાગરિકોને મળે તો થોડી મુશ્કેલી વેઠવાની તૈયારી રાખવી પડે.
મોન્ટુભાઇ જોષી, ઇન્ટનેશનલ એજ્યુકેશન એડવાઇઝર, વડોદરા
વડોદરાના વતની તેવા મોન્ટુભાઇ જોષીએ સરકારના આ નિર્ણયના વખાણ કરતા જણાવ્યું કે સરકારનો આ નિર્ણય લાંબા ગાળે સામાન્ય પ્રજાને ફાયદાકારક રહેશે. તેનાથી એજ્યુકેશન અને ગૃહ લોન સસ્તી થશે. જેના કારણે સામાન્ય માણસના ઘર અને વિદેશ જવાના સપના પૂરા થઇ શકશે. વધુમાં બેંક આગળની લાંબી લાઇન વિષે જણાવતા તેમણે કહ્યું કે વડોદરામાં અન્ય શહેરા કરતા બેંક અને એટીએમ આગળ ઓછી ભીડ હતી. તેથી વડોદરા વાસીઓમાં એટલી મુશ્કેલી નહતી પડી. વળી અનેક ખાનગી બેંકો દ્વારા માડંવા, ચાની વ્યવસ્થા હતી. જે સરાહનીય હતી.
વરિષ્ઠ નાગરિકો
જો કે આજે ખાલી વરિષ્ઠ નાગરિકો જ જૂની નોટો બદલી શકશે. સરકારના આ નિર્ણયને વરિષ્ઠ નાગરિકોએ આવકાર્યો છે.