રાજ્યમાં LPG ગેસનો પુરતો જથ્થો, ગુજરાત સરકારનો દાવો
મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે ગુજરાત સરકારે નાગરિકોને મોટી રાહત આપી છે. રાજ્યમાં ઘરેલું વપરાશ માટે એલપીજી સિલિન્ડરનો પૂરતો સ્ટોક હોવાની સત્તાવાર ખાતરી આપવામાં આવી છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે જનતાએ ગભરાઈને ગેસ સિલિન્ડરનું બુકિંગ કરવાની કે સંગ્રહખોરી કરવાની જરૂર નથી. પુરવઠો ખોરવાય નહીં તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે.

ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, પરિવહન અને વિતરણની વ્યવસ્થા સંપૂર્ણપણે કાર્યરત છે. ભૌગોલિક તંગદિલી છતાં ગેસના નિયમિત પુરવઠામાં કોઈ વિક્ષેપ નહીં પડે તેવી વ્યવસ્થા કરાઈ છે.
ગુજરાતમાં એલપીજી સિલિન્ડર પર નિર્ભરતા ઓછી છે કારણ કે 30 ટકા વપરાશ પાઈપલાઈન (PNG) દ્વારા થાય છે. આ સુવિધાને કારણે રાજ્ય ગેસ વિતરણ બાબતે અન્ય રાજ્યો કરતા વધુ સુરક્ષિત છે.
તેમ છતાં, સાવચેતીના ભાગરૂપે ઓઈલ કંપનીઓએ નવા બુકિંગ માટે 25 દિવસનો ફરજિયાત ગાળો રાખવાનો નિર્ણય લીધો છે. એક જ ગ્રાહક 25 દિવસ પહેલા બીજું સિલિન્ડર બુક કરાવી શકશે નહીં.
આ નિર્ણય બિનજરૂરી ભીડ અને સંગ્રહખોરી અટકાવવા માટે લેવામાં આવ્યો હોવાનું વિભાગે જણાવ્યું છે. પુરવઠા પરનું દબાણ ઘટાડવા માટે કેન્દ્ર સરકારના આદેશ મુજબ આ નિયમ લાગુ કરાયો છે.
બીજી તરફ, હાલમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વેચાણ પર અમુક અંશે નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જોકે, હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી આવશ્યક સેવાઓને જરૂરિયાત મુજબ ગેસ મળતો રહેશે.
તંત્રએ સંગ્રહખોરી કે કાળાબજાર કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. નિર્ધારિત કિંમતથી વધુ ભાવ લેનાર એજન્સીઓ સામે ફોજદારી ગુનો નોંધવામાં આવી શકે છે.
આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગેસના બિનઅધિકૃત વપરાશ અને સંગ્રહ પર કડક નજર રાખવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરના પગલાં લેવા તમામ કલેક્ટરોને સૂચના આપી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
