ચણાના પાકમાં લીલી ઈયળના રોગને કેવી રીતે નિયંત્રિત કરશો?
Agriculture News: ખેડૂતો તેમની ઉપજને બચાવીને સારા ભાવ મેળવી શકે તે માટે ગુજરાત સરકાર સતત પ્રત્યનશીલ રહે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચણાના ઉભા પાકમાં લીલી ઈયલનો ઉપદ્વવ જોવા મળી રહ્યો છે. જે પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોચાડે છે.
ચણાના ઊભા પાકમાં લીલી ઈયળ સ્વરૂપે જોવા મળતા રોગને નિયંત્રિત કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા- પગલા જાહેર કરવામાં આવ્યા છે.
આ માર્ગદર્શિકા મુજબ લીલી ઇયળના ભૌતિક નિયંત્રણ માટે પાક ઉગ્યા બાદ 5 દિવસે હેક્ટર દીઠ 20 કેરોમેન ટ્રેપ છોડથી 1 ફૂટ ઉંચાઇએ ગોઠવવા તથા ફેરોમેન ટ્રેપની લ્યુર દર 21 દિવસે બદલવી હિતાવહ છે.
ખેતરમાં વીઘે દીઠ એક પ્રકાશ પિંજર ગોઠવવા અથવા જ્યાં લાઈટની વ્યવસ્થા થઇ શકે ત્યાં વિદ્યુત ગોળો ગોઠવી તેની નીચે પાણી ભરેલ ટ્રે ગોઠવી તેમાં કોઇપણ જંતુનાશક 1 થી 2 ટીપા નાખવા, જેથી રાત્રી દરમિયાન પ્રકાશ તરફ આકર્ષાયેલી કૂદીઓ પાણીમાં પડતા જ નાશ પામી શકે છે.
આ ઉપરાંત પક્ષીઓને ઈયળ શોધવામાં સરળતા રહે તે માટે ઉભા પાકમાં અંગ્રેજી ટી (T) આકારના પક્ષીઓને બેસવાના ટેકા હેકટરે 40-50ની સંખ્યામાં છોડથી 3 ફૂટ ઉંચાઇએ મુકવા જોઈએ.
આ સાથે જ લીંબોળીનાં મીંજનું 5 ટકા દ્રાવણ 500 ગ્રામ મીજનો પાવડર 10 લિટર પાણીમાં ભેળવીને 2 થી 3 છંટકાવ કરવાથી લીલી ઈયળનું અસરકારક રીતે નિયંત્રણમાં લાવી શકાય છે.
લીમડા આધારિત તૈયાર કીટનાશક 10 મિ.લિ.(5 ઇસી), નફફટીયાના પાન 500 ગ્રામ, અરડૂસીના પાનનો 500 ગ્રામ અર્ક 10 લિટર પાણીમાં ભેળવી 2 થી 3 છંટકાવ કરવાથી આ રોગને અસરકારક રીતે કાબુમાં લઇ શકાય છે.

લીલી ઈયળના જૈવિક નિયંત્રણ માટે બેસીલસ થુરીન્જીન્સીસ 5 ડબલ્યુપી 20 ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના 1 ડબલ્યુપી 40 ગ્રામ પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા એક હેક્ટર માટે 250 રોગીષ્ટ ઈયળનું દ્રાવણ (એન.પી.વી.) બનાવી 500 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ.
વધુમાં જરૂરીયાત જણાયેથી લીલી ઈયળના રાસાયણિક નિયંત્રણ માટે છોડમાં 50 ટકા ફુલ બેસવાની અવસ્થાએ અને ત્યારબાદ 15 દિવસે 20 મિ.લિ કિવનાલફોસ., 2 મિ.લિ. ફલુબેન્ડીયામાઈડ, 1.5 મિ.લિ. કલોરાન્ટ્રાનીલીપ્રોલ, 2 ગ્રામ ઈમામેકટીન બેન્જોએટ દવા 10 લિ. પાણીમાં ભેળવીને છાંટવી જોઈએ.
જ્યારે પાણીની અછતવાળા વિસ્તારમાં ચણાના પાકમાં 1.5 ટકા ભુકી કિવનાલફોસ ૨૫ કિ.ગ્રા પ્રતિ હેક્ટરના પ્રમાણમાં છાંટવાથી હકારાત્મક પરિણામ મળે છે.
દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ખેડૂતોએ આ અંગે વધુ જાણકારી માટે જે તે વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક અથવા નાયબ ખેતી નિયામકની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.












Click it and Unblock the Notifications
