હવે ખેડૂતોને નહીં કરવા પડે ઉજાગરા, જાણો શું છે કિસાન સૂર્યોદય યોજના?
Agriculture News: સુશાસન દિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લાખો ખેડૂતોના હિતમાં દિવસે વીજળી આપવાના મહત્વના નિર્ણયનો રાજ્યના 96 ટકા ગામોમાં અમલ કરીને ખેડૂતોને રાત્રે ઉજાગરામાંથી મુક્તિ આપવામાં આવી છે.
ગુજરાતના કુલ 18225 ગામ પૈકી 17193 ગામમાં 2051145 જેટલા ખેતીવાડી વીજ જોડાણો કરવામાં આવ્યા છે. જે પૈકી 16561 ગામના 1895744 જેટલા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાનું શરુ કરી દેવામાં આવ્યું છે, તેમ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
ઉર્જા મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 96 ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે. જેમાં બાકી રહેતા 4 ટકા ગામો પૈકી મોટા ભાગના ગામો દેવભૂમિ દ્વારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે.
આ બાકી રહેલા 632 જેટલા ગામના 155401 જેટલા ખેડૂતોને એટલે કે 4 ટકા ગામના ખેડૂતોને પણ સત્વરે દિવસે વીજળી આપી શકાય તે માટેની કામગીરી પ્રગતિમાં છે અને આ કામગીરી સત્વરે પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, દિવસે વીજળી મેળવી રહેલા 16561 ગામના ખેડૂતો પૈકી 11927 ગામના ખેડૂતોને સિંગલ શિફ્ટમાં સવારે 8 થી સાંજના 4 અને સવારે 9 થી સાંજના 5 વાગ્યાના સમય દરમિયાન દિવસે વીજળી આપવામાં આવે છે તથા 4634 ગામના ખેડૂતોને બે શિફ્ટમાં એટલે કે સવારે 5 થી બપોરના 1 અને બપોરના 1 થી સાંજે 9 વાગ્યા સુધી દિવસે વીજળી આપવામાં આવી રહી છે.

ઉર્જા મંત્રીએ કહ્યું હતું કે, સુશાસનના ભાગ રૂપે આજે ગાંધીનગર જિલ્લામાં નાનાચીલોડા અને સરગાસણ, બનાસકાંઠાના થરાદ, અમદાવાદના ઘુમા અને બાકરોલ તેમજ ખેડા જિલ્લામાં પીપલગ ખાતે એમ કુલ 6 નવી પેટા વિભાગીય કચેરીઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં અંદાજે 251 જેટલા અધિકારી - કર્મચારીઓનું મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું છે.
વધુમાં, છેલ્લા ત્રણ વર્ષમાં 30 નવી પેટા વિભાગીય અને 3 વિભાગીય કચેરીઓ મંજૂર કરીને રાજ્ય સરકારે સતત ખેડૂતોના હિતની ચિંતા કરી છે.
છેલ્લા દાયકામાં ખેડૂતોને 10 લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે, એટલે કે વર્ષે સરેરાશ 1 લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે.
હાલમાં નવીન ખેતીવાડી વીજ જોડાણ આપવામાં કોઈ પણ જાતનો વાંધો કે વિરોધ ન આવે તો 3-4 મહિનામાં વીજ જોડાણ આપી દેવામાં આવે છે.
ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો સરેરાશ માથાદીઠ વીજવપરાશ 2238 યુનિટ છે,દેશની સરેરાશ માથાદીઠ વીજવપરાશ 1255 કરતાં લગભગ બમણા જેટલો છે, જે રાજ્યના વિકાસને પ્રતિબિંબિત કરે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલ પીએમ સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ દેશના 1 કરોડના લક્ષ્યાંક સામે ગુજરાતમાં 2 લાખ 42 હજારથી વધુ વીજ ગ્રાહકોના મકાન પર 900 મેગા વોટથી વધુ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરીને ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
આ ઉપરાંત પીએમ કુસુમ-C યોજના હેઠળ ફીડર લેવલ સોલરાઈઝેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં આગળ પડતું રાજ્ય છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 108.570 મેગાવોટના 37 પ્લાન્ટ કાર્યરત થયા છે, જેનો 48648 ખેતીવાડી વીજ ગ્રાહકોને લાભ મળ્યો છે. હાલમાં ગુજરાત Renewable Energy (Wind+ Solar+ Hydro+ Bio Power)ની 30 ગીગાવોટની કેપેસિટી સાથે સમગ્ર દેશમાં અગ્રેસર છે.












Click it and Unblock the Notifications
