Agriculture News: ખેડૂતો માટે સારા સમાચાર, 20 જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
Agriculture News: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ તુરંત જ કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.
આ ક્રમે આગળ વધતા ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે.
રાજ્ય સરકારના ખેડૂત હિતલક્ષી નિર્ણય અંગે માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2023-24 ના ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી 20 જૂનથી શરૂ થશે. સમગ્ર રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂપિયા 108 કરોડની કિંમતનો 12633 મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન છે. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે ગત 14 જૂનથી ખેડૂતોની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે રાજ્યની વિવિધ એપીએમસી ખાતે મગ પાકનો સરેરાશ બજાર ભાવ ખેડૂતોની પડતર કિંમતની સામે અપેક્ષા કરતા થોડો ઓછો હોવાથી, રાજ્યના કોઇપણ ખેડૂતને આર્થિક નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
ખેડૂતોને ઉનાળુ મગની પડતર કિંમત સામે પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2023-24 માટે મગ પાકનો ટેકાનો ભાવ રૂપિયા 8558 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે.
કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં મગ પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદી માટે 45 ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે. મગની ટેકાના ભાવે ખરીદી નાફેડ થકી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી રાજ્યની નોડલ એજન્સી ઇન્ડીએગ્રો કોન્સોર્ટીયમ પ્રોડ્યુસર કં. લિ. (FPO) મારફત કરવામાં આવશે. મગની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી VCE મારફત નોંધણી કરાવી શકશે, જેના માટે ખેડૂતોએ કોઇ ચાર્જ ચૂકવવાનો રહેશે નહી.
કૃષિ મંત્રીએ ખાતરી આપી છે કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઉનાળુ મગની ખરીદી પૂરતા પ્રમાણમાં કરવામાં આવશે, અને તેના માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો ઓનલાઈન નોંધણી કરાવે અને મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ લે, તેવો કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો હતો.












Click it and Unblock the Notifications
