Agriculture : સૌરાષ્ટ્ર બાદ મહેસાણામાં પણ ખેતીવાડી વીજ પુરવઠો 10 કલાક અપાશે
Agriculture : ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાના નિર્ણય બાદ હવે મહેસાણા જિલ્લાના ખેડૂતોને પણ આ લાભ મળશે. કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 9 ઓગસ્ટ 2025થી સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેતીવાડી માટે વીજ પુરવઠો 8 કલાકથી વધારીને 10 કલાક કરવામાં આવ્યો છે.

આ નિર્ણયથી દૈનિક વીજ વપરાશ 4.4 કરોડ યુનિટથી વધીને 5.2 કરોડ યુનિટ થયો છે, જે દર્શાવે છે કે ખેડૂતોને તેનો સીધો લાભ મળી રહ્યો છે. આ નિર્ણયથી સૌરાષ્ટ્રના આશરે 12 લાખ ખેતીવાડી વીજ જોડાણોને ફાયદો થયો છે
આગામી 14 ઓગસ્ટ 2025થી મહેસાણા જિલ્લામાં પણ ખેતીવાડી વીજ પુરવઠો 8 કલાકથી વધારીને 10 કલાક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મહેસાણા જિલ્લાના લગભગ 43,000 ખેડૂતોને કૃષિ કાર્યમાં મોટી મદદ મળશે.
મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં કૃષિ વાવેતરની વર્તમાન પરિસ્થિતિ અંગે પણ માહિતી આપી. તેમણે જણાવ્યું કે, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 85.57 લાખ હેક્ટરના નોર્મલ વાવેતર વિસ્તાર સામે કુલ 74.85 લાખ હેક્ટર એટલે કે 87.48% વિસ્તારમાં કૃષિ પાકોનું વાવેતર થયું છે.
મુખ્ય પાકોનું વાવેતર
- તેલીબિયાં : 26.94 લાખ હેક્ટર
- મગફળી : 20.54 લાખ હેક્ટર
- કપાસ : 20.58 લાખ હેક્ટર
- ધાન્ય પાક : 12.88 લાખ હેક્ટર
- ડાંગર : 8.44 લાખ હેક્ટર
- કઠોળ : 3.48 લાખ હેક્ટર
- ઘાસચારો : 8.02 લાખ હેક્ટર












Click it and Unblock the Notifications
