ગુજરાત સરકાર બદલવા જઈ રહી છે ખેતીની જમીન સાથે જોડાયેલા આ નિયમો
ગુજરાત સરકાર ખેતીની જમીનના વેચાણ અને વારસાઈ નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. ટુકડા ધારામાં ફેરફાર કરીને હવે 10 ગુંઠા કે તેથી વધુના ટુકડાના વેચાણ વ્યવહારને દંડ ભરી નિયમિત કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. મહેસૂલ વિભાગે 7મી ફેબ્રુઆરી સુધીમાં ખેડૂતો અને નાગરિકો પાસેથી આ બાબતે સૂચનો મંગાવ્યા છે.
રાજ્યમાં ઝડપી શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને બુલેટ ટ્રેન, હાઈવે જેવા મોટા પ્રોજેક્ટ્સને કારણે મોટા પાયે જમીન સંપાદન થયું છે, જેના લીધે ખેડૂતો પાસે જમીનના નાના ટુકડાઓ બચ્યા છે.

જૂના 1947ના કાયદા મુજબ, બિન-પિયત જમીનમાં 80.94 ગુંઠાથી ઓછી અને પિયત જમીનમાં 20.24 ગુંઠાથી ઓછી જમીન ટુકડો ગણાતી હતી. આ મર્યાદા નાની જમીન વેચવામાં કે વારસાઈ કરવામાં ખેડૂતો માટે ખુબ જ મુશ્કેલકારી હતી.
મહેસૂલ વિભાગના મુસદ્દા મુજબ, કાયદાની કલમ-9(3)માં સુધારો કરી નવી જોગવાઈઓ ઉમેરાશે. તમામ જમીનો માટે લઘુત્તમ ક્ષેત્રફળની મર્યાદા ઘટાડીને 10 ગુંઠા કરવાની દરખાસ્ત છે. 10 ગુંઠા કે તેથી વધુના ટુકડાના માલિકો રાજ્ય સરકાર નિર્ધારિત દંડ ભરી વેચાણ વ્યવહારો નિયમિત કરાવી શકશે.
કુદરતી કારણો કે સરકારી સંપાદનને લીધે જમીન 10 ગુંઠાથી ઓછી થઈ હોય તો તેવા કિસ્સામાં વિશેષ છૂટછાટ આપવાનું સૂચવાયું છે. ઉપરાંત, ટુકડાની જમીન વેચતી વખતે પાડોશી ખેડૂતનો પ્રથમ હક હવે રદ થવાની શક્યતા છે, જેથી ખેડૂત પોતાની મરજી મુજબ જમીન વેચી શકશે.
આ કાયદાકીય ફેરફારથી જમીન મહેસૂલના હજારો વિવાદોનો અંત આવશે. 7/12ના ઉતારામાં ટુકડો કે કલમ-7 મુજબ પ્રતિબંધિત જેવી નોંધો બંધ થશે. નાના ટુકડાને કારણે પરિવારમાં ભાગલા કે વારસાઈની તકલીફો દૂર થશે. દંડ ભરીને અગાઉના દસ્તાવેજો માન્ય બનશે અને શહેરી વિસ્તાર નજીકની નાની જમીનોનો વિકાસ સરળ બનશે.












Click it and Unblock the Notifications
