Teka na bhave kharidi : સરકાર ટેકાના ભાવે આટલા મણ મગફળી ખરીદશે, સરકારે જાહેરાત કરી
ગુજરાતમાં આગામી 9 નવેમ્બરથી મગફળી સહિત વિવિધ જણસીઓની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. રાજ્ય સરકારે કમોસમી વરસાદ અને ખેડૂતોના પાકને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ એક પત્રકાર પરિષદમાં આ અંગેની જાણકારી આપી.
સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે. ખેડૂત દીઠ 125 મણ મગફળીની ખરીદી કેન્દ્ર સરકારના ધારાધોરણો મુજબ ટેકાના ભાવે કરવામાં આવશે. આ નિર્ણય ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાના હેતુથી લેવાયો છે.

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યમાં 42 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થયું છે. 16 હજારથી વધુ ગામડાં આ માવઠાથી પ્રભાવિત થયા છે.
આ પહેલા મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતેથી રીયલ ટાઈમ મોનિટરિંગ અને ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને ખેડૂતોને થયેલા નુકસાનનો તાગ મેળવ્યો હતો. તેમણે કૃષિ વિભાગ સહિત અન્ય સરકારી વિભાગોને નુકસાનગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે શરૂ કરવા સૂચના આપી હતી.
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે ખેડૂતોને ઝડપથી સહાય મળી શકે તે માટે અસરગ્રસ્ત જિલ્લાઓમાં 4,800થી વધુ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરવામાં આવી. મુખ્યમંત્રીએ ગીર-સોમનાથના કડવાસણ અને જૂનાગઢના પાણીદ્રા ગામની મુલાકાત લઈને ખેડૂતોની આપવીતી સાંભળી હતી.
પ્રાથમિક અંદાજ મુજબ, રાજ્યના 249 તાલુકાના 16,000 થી વધુ ગામોમાં ખેતી પાકોને નુકસાન થયું છે. હાલમાં 70 ટકા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, અને બાકીના વિસ્તારોમાં પણ આ કામગીરી સત્વરે પૂરી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
