ખેડ-ખાતર વગરની ખેતી અને લાખોની કમાણી, જાણો જંગલ મોડલ આધારીત ઝીરો બજેટ ખેતી કરતા ખેડૂતની સફળતાની કહાની
કહેવાય છે કે ખેડ, ખાતર અને પાણી, સમૃદ્ધિ લાવે તાણી. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે એક ખેડૂત એવા છે જેને ખેડ અને ખાતર વગરની ખેતી કરી છે અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
ખેતી સાથે જોડાયેલા ખેડૂતો અને જાણકાર લોકો એવુ કહે છે કે જેટલી સારી ખેડ થાય અને સારા ખાતરોનો ઉપયોગ થાય તો જ ખેતીમાં સારૂ ઉત્પાદન મળે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે માથક ગામના બાવલભાઈ અસવાર આવુ નથી માનતા.

આપણે જે ખેડૂત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેમના ખેતરમાં છેલ્લા છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી કોઈપણ પ્રકારની ખેડ કરવામાં આવી નથી. જાણીને આશ્ચર્ય થશે કે ખેડ, ખાતર અને પાણીમાંથી તેમને માત્ર નહીવત પાણી સાથે સફળ ખેતી કરીને દેખાડી દીધી છે.
હાલ દુનિયાભરના ખેડૂતો ખાતર અને સાધનો પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરીને થાકી રહ્યા છે ત્યારે આ ખેડૂતે જંગલ મોડલ આધારીત ઝીરો બઝેટ ખેતી અપનાવી છે. ખેડૂત બાવલભાઈની વાત માનીએ તો આ ખેતીમાં એક પણ સાધન અને કોઈપણ પ્રકારના ખાતર કે દવાની જરૂર પડતી નથી.
બાવલભાઈ અસવાર નામના આ ખેડૂતના દાવા પર જ્યારે વિશ્વાસ ન આવ્યો તો અમે તેમના દાવાની પડતાલ માટે તેમના ખેતરની મુલાકાત લીધી. તેમના ખેતરની મુલાકાતે ઘણા એવા સવાલોના જવાબ આસાનીથી આપી દીધા કે જેનાથી મોટો ખેડૂ વર્ગ પરેશાન છે.
જંગલ મોડલ આધારિત ઝીરો બજેટ
વાસ્તવમાં જંગલ મોડલ એક ઓર્ગેનિક ખેતીનું મોડલ છે. આ ખેતીમાં કોઈપણ પ્રકારની ખેડ વગર વિવિધ પ્રકારના પાક એક જ ખેતરમાં વાવવામાં આવે છે. આ પાકોમાં ફળ ઝાડથી લઈને શાકભાજી અને બાગાયતી છોડ પણ સામેલ હોય છે. આ ખેતીનો એક નિયમ એવો કે તેમાંથી ઉત્પાદન સિવાયના કોઈપણ પ્રકારની કચરાને ખેતરમાંથી બહાર લઈ જવાનો રહેતો નથી.
આ ખેતરમાં વિવિધ પ્રકારના છોડ કે ઝાડના પાંદડામાંથી જ કુદરતી ખાતર બને છે અને એ જ છોડ ગ્રહણ કરે છે અને ઉત્પાદન આપે છે. જંગલ મોડલમાં ખેતી માટેની કોઈ નિશ્ચિત જગ્યા કે માપ હોતા નથી. આમાં જ્યાં પણ જગ્યા મળે ત્યાં વિવિધ છોડનું વાવેતર થાય છે અને તેમાં થતા ફળ અને શાકભાજી કે અન્ય ઉત્પાદનોને બજારમાં લઈ જવાય છે.

ખેડ અને ખાતર વગર ખેતી શક્ય છે?
તમને સવાલ થતો હશે કે ખેડ અને ખાતર વગર ખેતી શક્ય છે તો આ સવાલ અમે બાવલભાઈને કર્યો. આ સવાલના જવાબમાં તેમણે જણાવ્યુ કે, જંગલ મોડલ ખેતી ઝીરો બજેટ ખેતી છે. આ મોડલમાં વાવવામાં આવેલા વિવિધ ઝાડ અને છોડ સિઝન પ્રમાણે ઉત્પાદન આપતા રહે છે. તેને સંપુર્ણ કુદરતી વાતાવરણ મળે છે અને કોઈપણ પ્રકારના ખાતર આપવાની જરૂર નથી. જંગલ મોડલમાં કુદરતની સાયકલ કામ કરે છે અને મિત્ર કિટકો શત્રુ કિટકોનો ખાય છે. આમ ઝેરી રસાયણો છાંટવાની જરૂર પણ પડતી નથી.
આ વાતને તમારે આસાનીથી સમજવી હોય તો તમે એવી રીતે સમજી શકો છો કે કંટોળા અને ટીંડોળા જેવા શાકભાજી ખેતર આસપાસ કોઈપણ પ્રકારના ખાતર અને ખેડ વગર થઈ જાય છે એવી જ રીતે આ મોડલ પણ કામ કરે છે.
એક સાયકલ બંધાઈ ગયા પછી ઝાડના કચરામાંથી જ ઓર્ગેનિક ખાતર તૈયાર થાય છે અને છોડને જરૂરીયાત મુજબ મળતુ રહે છે. અહીં રહેવા વિવિધ મિત્ર કિટકો શત્રુ કિટકોનો મુકબલો કરે છે અને સંતુલન જળવાઈ રહે છે.
જંગલ મોડલમાં કેવા કેવા પ્રકારના પાકનું વાવેવર થાય?
આ સવાલના જવાબમાં બાવલભાઈ જણાવે છે કે તેમને તેમના ખેતરમાં સાગનું વાવેતર કર્યુ છે. આ સિવાય આંબા, જાંબુડા, સિતાફળ, જાણફળ અને કેળા જેવા પાકનું વાવેતર કર્યુ છે. આ વિવિધ પાક વિવિધ ઋૂતુમાં ઉત્પાદન આપે છે. આ સિવાય જંગલમાં સિઝન પ્રમાણે શાકભાજી થતા રહે છે. તેમના જંગલમાં હળદર જેવા પાકો પણ વાવે છે. આ પાકોમાંથી ઉત્પાદન લીધા બાદ તેના પાન અને છોડને એમ જ છોડી દેવામાં આવે છે અને તે જગ્યા પર જ કોઈ બીજા શાકભાજી કે પાક વાવી દેવાય છે.
ટુંકમાં કહીએ તો આ જંગલમાં સૌથી ઉપરના લેયરમાં આંબા, સાગ અને જાંબુડા જેવા મોટા ઝાડ હોય છે. તેનાથી નીચેના લેયરમાં સીતાફળ, જાણફળ અને કેળ જેવા ઓછી ઉંચાઈ થતા પાક હોય છે. આનાથી નીચેના લેયરમાં શેરડી અને શાકભાજી જેવા પાક હોય છે. આ સિવાય જમીનમાં નીચેના લેયરમાં કંદમુળ અને વિવિધ વેલા વાળા શાકભાજીનું વાવેતર થાય છે. આમ આ મોડલમાં એક સાથે ઘણા પાકનું અસ્તિત્વ રહે છે અને તમામમાંથી ઉત્પાદન મળે છે. આ ઉત્પાદન પાછળ એક પણ રૂપિયાનો ખર્ચ લાગતો નથી.
આ જંગલ મોડલ આધારિક ખેતીમાં તમારા વિસ્તારમાં ઉછરતા તમામ ઝાડ અને પાકનું વાવેતર કરી શકાય છે.
જંગલ મોડલ ખેતીમાં કેટલુ ઉત્પાદન મળે?
આ સવાલનો જવાબ જ્યારે અમે ખેડૂત બાવલભાઈ અસવારને પુછ્યો તો તેમને ચૌકાવનારો જવાબ આપ્યો. તેમને કેટલાક આંકડા ગણાવ્યા તો અમે પણ વિચારતા રહી ગયા.
બાવલભાઈએ કહ્યું કે, તેમને 10 વીધાનું જંગલ મોડર આધારીત ફાર્મ છે તે દર વર્ષે અંદાજીત વિધે એક લાખ રૂપિયા આસપાસનું ઉત્પાદન આપે છે. ખેતી કરતા ખેડૂતો એ વાત સારી રીતે જાણે છે કે મોટો ખર્ચ કર્યા પછી પણ ચોખ્યુ 1 લાખ રૂપિયાનું વીધે ઉત્પાદન પરંપરાગત ખેતીમાં શક્ય નથી.
આ સ્થિતીમાં બાવલભાઈ કોઈપણ પ્રકારના ખાતર અને ખેડનો એક પણ રૂપિયો ખર્ચ્યા વગર વીધે 1 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવી લે છે. આ સિવાય તેમના જંગલમાં રહેલા સાગના ઈમારતી લાકડા વર્ષો બાદ લાખો રૂપિયાનું ઉત્પાદન પણ આપશે.
બાવલભાઈનું આ મોડલ 100 ટકા ઓર્ગેનિક હોવાથી તેમના ફળ અને શાકભાજી બજારમાં સારા ભાવે વેચાય છે. ઓર્ગેનિક ખેતી કરવાનો આ એમને મોટો ફાયદો મળે છે.

ખર્ચ ઓછો હોવાથી ઉત્પાદનના રૂપિયા સીધા ખેડૂતને મળેે છે
જંગલ મોડલમાં ખાતર, ખેડ અને જંતુનાશક દવાના રૂપિયા બચી જતા હોવાથી ખેડૂતને ઉત્પાદન મળે તેના રૂપિયા સીધા મળે છે. આ રૂપિયામાંથી કોઈપણ પ્રકારનો ખર્ચ થતો નહીં હોવાથી ખેડૂતને ચોખ્ખી આવક થાય છે.
બાવલભાઈની દિકરીઓ તેમની ખેતીમાં તેમનો સાથ આપે છે
તમને જાણીને નવાઈ લાગશે કે આજે 100 ટકા ઓર્ગેનિક ખેતી કરતા બાવલભાઈ એક સમયે લાખોનું ઉત્પાદન આપતી દાડમની ખાતર અને દવા આધારીત સફળ ખેતી પણ કરી ચુક્યા છે. આના માટે ગુજરાતના મુખ્યમંત્રીના હાથે તેમની દિકરીએ સન્માન પણ મેળવ્યુ છે. બાવલભાઈએ દાડમની કરેલી ખેતીથી પ્રભાવિત થઈને રાજ્ય સરકારે તેમની દિકરીને સન્માનપત્ર આપીને સન્માન કર્યુ હતુ.












Click it and Unblock the Notifications
