Guru Gochar 2023 : બની રહ્યો છે ગુરુ ચાંડાલ યોગ, જીવન પર થશે આ અસર
Guru Chandal Yoga - ગુરુ ચાંડાલ યોગને ખુબ જ અશુભ યોગ માનવામાં આવે છે. આવા સમયે આજે આપણે આ યોગની ખરાબ અસરો તેમજ તેનાથી બચવાના ઉપાયો વિશે જાણીશું.
Guru Gochar 2023 : જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ગ્રહો એક નિશ્ચિત સમયે પોતાની રાશિમાં પરિવર્તન કરે છે, જેને ગોચર કહેવામાં આવે છે. નવા વર્ષે ગુરુ ગ્રહ બૃહસ્પતિ અને રાહુ 6 માસ સુધી મેષ રાશિમાં બિરાજમાન રહેશે. આવી સ્થિતિમાં આ સમય દરમિયાન ગુરુ ચાંડાલ યોગ સર્જાઇ રહ્યો છે. જેને ખુબ જ અશુભ માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં ગુરુ અને રાહુ એક સાથે હોય ત્યારે ચાંડાલ યોગ બને છે. આ યોગ કોઈપણ વ્યક્તિની કુંડળીમાં મોટી વિસંગતતા માનવામાં આવે છે. આ યોગથી વ્યક્તિને જીવનમાં આગળ વધવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની કુંડળીમાં આ યોગ બને છે, તે વ્યક્તિ ખૂબ જ ભૌતિકવાદી બની જાય છે. વ્યક્તિના જીવનમાં નકારાત્મકતા વધે છે. આ સમય દરમિયાન આ લોકો પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. આ સિવાય જે લોકો પૈસા કમાવવાની તીવ્ર ઈચ્છા ધરાવતા હોય, તેઓ આ સમય દરમિયાન સાચા કે ખોટાનો ભેદ કરી શકતા નથી. આ સાથે જ ચોક્કસ સંજોગોમાં આ યોગ વ્યક્તિને હિંસક અને કટ્ટરપંથી પણ બનાવે છે.
વર્ષ 2023માં ગુરુ ચાંડાલ યોગ ક્યારે બનશે
હિન્દુ પંચાંગ અનુસાર, મેષ રાશિમાં ગુરુના પરિવર્તનને કારણે 23 એપ્રીલ, 2023ના રોજ ગુરુ ચાંડાલ યોગ બની રહ્યો છે. ગુરુ મેષ રાશિમાં પ્રવેશ કરશે, રાહુ પહેલેથી જ ત્યાં બેઠો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ અને ગુરુના સંયોગથી ગુરુ ચાંડાલ યોગ બને છે. જે લોકોની કુંડળીમાં આ યોગ બની રહ્યો છે, તેઓએ આગામી 6 મહિના સુધી ખૂબ કાળજી રાખવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, 23 એપ્રીલ 2023 થી 30 ઓકટોબર 2023 સુધીનો સમય મુશ્કેલીઓથી ભરેલો રહેશે. આ સમયે શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળશે. આવી સ્થિતિમાં શેરબજારમાં રોકાણ કરતા પહેલા ઘણો વિચાર કરવો જરૂરી છે.
ગુરુ ચાંડાલ યોગની આડ અસરોને ઓછી કરવાના ઉપાયો
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ ચાંડાલ યોગ હોય, તો તેને શાંત કરવાનો શ્રેષ્ઠ ઉપાય ગુરુ ચાંડાલ દોષ નિવારણની ઉપાસના છે. જ્યોતિષીઓનું કહેવું છે કે, આ પૂજાથી ચાંડાલ યોગની અસર ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. આવી સ્થિતિમાં કોઈપણ લાયક બ્રાહ્મણ ગુરુ ચાંડાલ યોગ પૂજા કરાવી શકે છે. બીજી તરફ જો તમારી કુંડળીમાં ગુરુની સ્થિતિ શુભ હોય તો બ્રાહ્મણોને દાન કરો.
તેમજ ગુરુ જેવા લોકોનું સન્માન કરવું જોઈએ. આ સમય દરમિયાન પીડિત લોકો ગુરુવારના રોજ કેળાનું ઝાડ વાવી તેની પૂજા કરવી જોઇએ. બીજી તરફ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ ચાંડાલ યોગ બની રહ્યો હોય તો તેવા લોકોએ ગુરુવારના રોજ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. તેમજ તેમને પીળા ચંદન અર્પણ કરવાથી લાભ થશે.












Click it and Unblock the Notifications
