23 ફેબ્રુઆરીથી હોળાષ્ટક શરૂ, 7 દિવસ નહિં થાય કોઈ પણ શુભ કામ
વર્ષના કેટલાક એવા પણ દિવસો હોય છે, જેમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકાતુ નથી. તેમાં એક હોળાષ્ટક પણ છે, જે હોળીના આઠ દિવસ પહેલા શરૂ થાય છે.
હિંદુ ધર્મમાં મુહૂર્તનું ઘણું મહત્વ છે. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા પંચાંગ શુદ્ધિ જોઈ શુભ મુહૂર્ત કાઢવામાં આવે છે. એવું મનાય છે કે ગ્રહો-નક્ષત્રોની શુભ દ્રષ્ટિથી કાર્યમાં સફળતા મળે છે. વર્ષના કેટલાક એવા પણ દિવસો હોય છે, જેમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકાતુ નથી. તેમાં એક હોળાષ્ટક પણ છે, જે હોળીના આઠ દિવસ પહેલા શરૂ થાય છે. જો કે આ વર્ષે હોળિકા દહન 1 માર્ચે થશે, તેના પહેલા હોળાષ્ટક 23 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યા છે. આ વર્ષે પૂર્ણિમા તિથિનો ક્ષય હોવાથી હોળાષ્ટક સાત દિવસના રહેશે. એટલે કે 23 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી હોળાષ્ટક રહેશે.

આ સમયે ગ્રહોની સ્થિતિ ઉગ્ર
શાસ્ત્રો પ્રમાણે હોળાષ્ટક દરમિયાન ગ્રહોનો સ્વભાવ ઉગ્ર રહે છે. જેથી આ સમયે તમામ શુભ કાર્યો તેમજ માંગલિક પ્રસંગો કરવાની મનાઈ છે. જ્યોતિષ અનુસાર કોઈ પણ શુભ કામ ત્યારે જ સફળ થાય છે જ્યારે તેને ગ્રહોની અનુકૂળતા દરમિયાન કરવામાં આવ્યુ હોય.

માંગલિક કાર્યો વર્જિત
હોળાષ્ટકના દિવસોમાં ગ્રહો ઉગ્ર રહેવાથી નવા કામ, નવો વેપાર, ગ્રહ પ્રવેશ, લગ્ન, વાહન ખરીદી, જમીન, સંપતિ ખરીદી, બાબરી જેવા માંગલિક કાર્યો વર્જિત છે. હોળાષ્ટક દરમિયાન આ કાર્યો કરવાથી કષ્ટ આવે છે. આ દરમિયાન કરેલા લગ્નો તૂટી જાય છે, કારણ કે ઘરમાં વારંવાર વિવાદ, કલેશ રહ્યા કરે છે.

ગર્ભવતી સ્ત્રીઓ નદી ન ઓળંગે
હિંદુ ધર્મમાં ગર્ભવતી સ્ત્રીઓને વિશેષ સન્માન અને સંરક્ષણ અપાય છે. જેથી તેમના રક્ષણ માટે અનેક નિયમો છે. જેમકે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ ઘરની બહાર નીકળવાની મનાઈ છે, તેવી જ રીતે હોળાષ્ટક દરમિયાન ગર્ભવતી સ્ત્રી નદી-નાળા ઓળંગી શકે નહિં.

ક્યારે કયો ગ્રહ ઉગ્ર
23 ફેબ્રુઆરી અષ્ટમીએ ચંદ્ર
25 ફેબ્રુઆરી દશમીએ શનિ
26 ફેબ્રુઆરી એકાદશીએ શુક્ર
27 ફેબ્રુઆરી દ્વાદશીએ બૃહસ્પતી
28 ફેબ્રુઆરી ત્ર્યોદશીએ બુધ
1 માર્ચ ચતુર્દશી, પૂર્ણિમાએ મંગળ અને રાહુ












Click it and Unblock the Notifications
