ગુજરાતમાં 8 જૂનથી ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’નો પ્રારંભ, પદ્મશ્રી વિજેતાઓ અને તજજ્ઞો આપશે હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા અને જનભાગીદારી વધારવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર આગામી 8 જૂનથી 14 જૂન, 2026 દરમિયાન રાજ્યભરમાં 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન'નું મોટું આયોજન કરવા જઈ રહી છે. રાજ્યના તમામ જિલ્લા મથકોએ યોજાનારા આ કાર્યક્રમોમાં છેલ્લા ૧૨ વર્ષની વિકાસયાત્રા, જનકલ્યાણની યોજનાઓ અને સાંસ્કૃતિક વારસાની જાળવણી પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

મહાનુભાવો અને તજજ્ઞોની ઉપસ્થિતિ
આ સંમેલનોમાં પ્રભારી મંત્રીઓ, સાંસદો અને પ્રદેશ કક્ષાના ખાસ વક્તાઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને "બાર વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના" વિષય પર પોતાના પ્રેરણાદાયી વિચારો રજૂ કરશે. આ ઉપરાંત, દેશ અને રાજ્યનું ગૌરવ વધારનારા પદ્મશ્રી એવોર્ડ વિજેતાઓ, વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને પ્રતિષ્ઠિત નાગરિકો પણ આ મંચ પર હાજર રહેશે.
સમાજના દરેક વર્ગનો સમન્વય
કાર્યક્રમને સર્વસમાવેશક બનાવવા માટે શિક્ષણ, કૃષિ, રમત-ગમત, સાહિત્ય, કળા અને સંસ્કૃતિ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારા મહાનુભાવોને આમંત્રિત કરાયા છે. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા વિવિધ યુનિવર્સિટીઓ, સ્પોર્ટ્સ સંસ્થાઓ, એસોસિએશનો અને સામાજિક સંગઠનોનો સહયોગ લેવામાં આવશે.
મોટા શહેરોમાં બે કાર્યક્રમો યોજાશે
આ સમગ્ર મહાઅભિયાનના સુચારુ સંચાલન માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વિશેષ સમિતિઓની રચના કરી દેવામાં આવી છે. વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં બે-બે કાર્યક્રમો યોજાશે, જ્યારે અન્ય નાના જિલ્લાઓમાં એક-એક સંમેલનનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો છે.












Click it and Unblock the Notifications
