અશ્વિની નક્ષત્રમાં જન્મેલ વ્યક્તિ હોય છે સુંદર અને બુદ્ધિમાન
વાસનામાં ડુબેલા રહે છે રોહિણી નક્ષત્રમાં જન્મેલા લોકો
પૃથ્વી પર જન્મ લેનારા દરેક મનુષ્યોના જીવન પર ગ્રહો-નક્ષત્રોની અસર થતી હોય છે, જેવી રીતે નવ ગ્રહો મળી વ્યક્તિના જીવનમાં એકે એક પળ અને ઘટનાઓ નક્કી કરે છે, તેવી જ રીતે જન્મ નક્ષત્ર પણ શુભ-અશુભ ઘટનાઓ નક્કી કરે છે. 12 રાશિ ચક્રમાં 27 નક્ષત્ર હોય છે અને એક અભિજીત નક્ષત્ર હોય છે. દરેક દિવસે એક નક્ષત્ર રહે છે. આજે અમે તમને જણાવીશું કે વ્યક્તિના જન્મ નક્ષત્ર પ્રમાણે વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે અને તેનું ભવિષ્ય તેને કયા રસ્તે લઈ જાય છે. પહેલા ભાગમાં પ્રથમ પાંચ નક્ષત્રો વિશે જણાવીશું.
અશ્વિની નક્ષત્ર
27 નક્ષત્રોમાં સૌથી પહેલો નક્ષત્ર હોય છે અશ્વિની. જ્યોતિષ સિદ્ધાંત પ્રમાણે અશ્વિની નક્ષત્રમાં જન્મેલ મનુષ્યો પૈસાદાર, હસમુખા, સુંદર, બુદ્ધિમાન, ઉત્તમ વસ્ત્રો ધારણ કરનાર, આભૂષણોના શોખીન, સ્વસ્થ અને સુંદર શરીર ધરાવનાર હોય છે. આવી વ્યક્તિ દરેક કામને નિપુણતા સાથે પૂરું કરે છે. પરોપકાર તેમના લોહીમાં હોય છે, પરિણામે હંમેશા બીજાના હિત માટે કામ કરે છે. સર્વ સાધન સંપન્ન હોય છે. તેમનો ભાગ્યોદય 20 વર્ષની ઉંમર પછી થાય છે. જ્યારે જ્યારે તેમના જીવનમાં ક્રૂર ગ્રહોની દશા આવે છે, ત્યારે ત્યારે તેમની સાથે દગો થાય છે.
ભરણી નક્ષત્ર
ચક્રનું બીજુ નક્ષત્ર ભરણી છે. આ નક્ષત્રમાં જન્મ લેનારી વ્યક્તિ સત્યવાદી અને સારા રસ્તે ચાલનારી હોય છે. સ્ત્રીઓ અને સૌંદર્ય પ્રત્યે તેમને સહજ આકર્ષણ હોય છે. તેમની મનોવૃતિ અસ્થિર હોય છે. તેમને વિદેશ જવાની તિવ્ર ઈચ્છા હોય છે અને તેને પૂર્ણ કરવા માટે તે કંઈ પણ કરવા તૈયાર રહે છે. તેમનુ આયુષ્ય લાંબુ હોય છે અને તેઓ પોતાની તર્કશક્તિથી દુશ્મનોને પરાજીત કરે છે. તેમનો ભાગ્યોદય 25 વર્ષ બાદ થાય છે. તેમને વારંવાર વાગવાની શક્યતા રહે છે.
કૃતિકા નક્ષત્ર
ત્રીજું નક્ષત્ર છે કૃતિકા. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ નક્ષત્રમાં જન્મેલા સ્ત્રી-પુરુષ કામીવૃતિ ધરાવનારા હોય છે. તેઓ હંમેશા નવા નવા સંબંધોની શોધમાં રહે છે. કંજૂસ અને કૃતધ્ન વૃતિના રહેવાને કારણે તેઓ પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે લાગણીપૂર્વકનો સંબંધ જાળવી શકતા નથી. જો કે, તેઓ દ્રઢનિશ્ચયી હોય છે અને જે કામમાં હાથ નાખે છે તેને પૂરું કરીને જ માને છે. સારુ ભોજન તેમને ગમે છે. વિપરિત લિંગના લોકો સાથે મિત્રતા કરવામાં એક્સપર્ટ હોય છે. તેમનું વ્યક્તિત્વ ભવ્ય હોય છે અને ભાગ્યોદય 29 વર્ષ બાદ થાય છે.
રોહિણી નક્ષત્ર
ચોથુ નક્ષત્ર છે રોહિણી. સુંદર, આકર્ષક અને મોહિત વ્યક્તિત્વ તેમની ખાસીયત છે. યોગ્ય રસ્તે ચાલનારા હોય છે અને મધુર ભાષી હોય છે. લોકોમાં તેઓ લોકપ્રિય હોય છે. તેઓ કલાકાર જેવી વ્યક્તિ હોય છે અને સાંસારિક કામો કુશળતા અને બૌદ્ધિકતાથી પૂરાં કરે છે. આ નક્ષત્રની વ્યક્તિઓનો જન્મ જો રાત્રિના સમયે થયો હોય તો તેઓ કામ અને વાસનામાં ડુબેલા રહે છે. તેમનો ભાગ્યોદય 30 વર્ષ બાદ થાય છે. ક્રૂર ગ્રહ દશામાં અને રાહુ, શનિ અને કેતુની અંતર્દશામાં તેમને દુશ્મનોથી હાનિ થવાની શક્યતા રહેલી છે.
મૃગશિરા નક્ષત્ર
પાંચમા નક્ષત્રમાં જન્મેલ વ્યક્તિઓ ગુસ્સાવાળા અને ચાલાક સ્વભાવના હોય છે. તેમને નાની-નાની વાતમાં ગુસ્સો આવી જાય છે અને તેઓ એ પણ નથી જોતા કે તે કોની સાથે વાત કરે છે. તેઓ પોતાનું કામ કઢાવવામાં હોંશિયાર હોય છે. વડીલોનો અનાદર કરવામાં પણ પાછા પડતા નથી. જો કે અંદરથી તેઓ ડરપોક સ્વભાવના હોય છે. પ્રવાસ કરવો તેમને ખૂબ ગમે છે. તેમનો ભાગ્યોદય 28 વર્ષના આયુષ્ય બાદ થાય છે. વિદ્વાન અને શિક્ષિત રહેવા છતાં આવા લોકોને હંમેશા પૈસાની ખોટ વર્તાય છે અને પૈસા ટકતા નથી.