તમારા બાળકના સારા આરોગ્ય માટે કરો આ વ્રત
બાળના સારા આરોગ્ય માટે સાતળા સાતમ કરવમાં આવે છે. આ દિવસે ઠંડો ખોરાક આરોગવામાં આવે છે.
જપ, તપ અને વ્રતનો મહિનો એટલે શ્રાવણ માસ, આ મહિનામાં એક પછી એક વ્રત અને તહેવારો આવે છે. શ્રાવણી પૂનમે રક્ષાબંધન, ત્યારબાદ નાગપાંચમ, રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ બાદ જન્માષ્ટમીનો પર્વ ઉજવાય છે. આમ એક પછી એક તહેવારો ચાલ્યા જ કરે છે. આજે આપણે વાત કરીશું શ્રાવણ વદ છઠ અને સાતમની. એક રીતે આ બંને તહેવાર પરસ્પર જોડાયેલા છે. શ્રાવણ વદ છઠ્ઠ અને સાતમ આ બંન્ને દિવસ હિંદુ ધર્મમાં ઘણું મહત્વ ધરાવે છે.
રાંધણ છઠ્ઠ
રાંધણ છઠ નિમિતે ગૃહિણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત રહે છે. જેમાં મેથીના ઢેબરા, મીઠી પૂરી, તીખી પૂરી, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચા, કંકોડાનું શાક, તીખી સેવ, ખીર વગેરે જેવી વાનગીઓની ઘરે ઘરે સુગંધ આવે છે અને જાત જાતની વાનગીઓ બનાવી રાત્રે ચુલો ઠારવામાં આવે છે. રાંધણ છઠે બનાવેલી આ વાનગીઓ શિતળા સાતમે આરોગવાની પરંપરા આજ સુધી જળવાઈ રહી છે.

શિતળા સાતમ
શિતળા સાતમે સહ પરિવાર ઠંડો ખોરાક આરોગી ટાઢી શેરની ઉજવણી કરે છે. શિતળા માતાના મંદિરે મહિલાઓ સહ પરિવાર પૂજાપાઠ માટે ઉમટી પડે છે. આ પવિત્ર પર્વ સાધન-પૂજાનો મહિમા સમજાવે છે. જે સાધનો દ્વારા આપણે આપણું કાર્ય કરીએ છીએ તે નિમિત્તરૂપ સાધનોમાં રહેલા સુષુપ્ત ચૈતન્યની આપણે વિધિ-વિધાન સહિત પૂજા કરવી જોઇએ. ચૂલો, સગડી કે ગેસના ચૂલા ઘરના દેવતા છે. ભારતીય સંસ્કૃતિમાં અગ્નિદેવના ઉપકારને કેવી રીતે ભૂલી શકાય? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી, ચુલો, ગેસ જેવા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે. આ દિવસે ચૂલાનું પૂજન કરી શીતળા માતાના મંદિરે છઠ્ઠની બનાવેલી રસોઈનો ભોગ ધરાવામાં આવે છે
બાળ-આરોગ્ય માટે કામના
ભારતીય સંસ્કૃતિમાં બાળ-આરોગ્યની કામના હેતુ કરવામાં આવતુ પર્વ એટલે શીતળા સાતમ. આ તહેવારની પરંપરાગત ઉજવણી કરવા માટે રાંધણ છઠની ઉજવણી કરવામાં આવે છે. મહિલાઓ દિવસભર રસોડામાં વિવિધ વાનગીઓ અને પકવાન બનાવવામાં મશગુલ રહે છે. આ દિવસે ચૂલાનું પૂજન કરવામાં આવે છે. આ ઉપરાંત શીતળા માતાના મંદિરે છઠ્ઠના દિવસે બનાવેલી રસોઈનો ભોગ ધરવામાં આવે છે. મહિલાઓ શિતળા માતાજીને શિશ ઝુકાવી પોતાના સંતાનોનાં આરોગ્ય માટે પ્રાર્થના કરી એક દિવસનાં એકટાણા, ઉપવાસ કરે છે.












Click it and Unblock the Notifications
