જીવનનો અર્થ સમજાવે છે દેવોના આ વાહન
આપણા પુરાણોમાં દરેક દેવી દેવતાઓના અલગ અલગ વાહનો દર્શાવામાં આવ્યા છે. આ દરેક વાહનો આપણને જીવનનું ઘણુ સુક્ષ્મ જ્ઞાન આપી જાય છે. આ અંગે વધુ વાંચો અહીં.
આપણા પૌરાણિક ગ્રંથોમાં દરેક દેવોની સાથે તેમના વાહનનો ઉલ્લેખ જોવા મળે છે. એવું મનાય છે કે દેવી-દેવતાઓના ગુણો પ્રમાણે તેમનું વાહન નક્કી કરવામાં આવ્યુ છે. આ કારણ છે કે દરેક ભગવાનના વાહન અલગ-અલગ છે. ઈષ્ટ દેવોના વાહન આપણને જીવનના સુક્ષ્મ સત્યોથી પરિચિત કરાવે છે. તેમના સંકેતો સમજીને તેને અનુરૂપ આચરણ કરવામાં આવે તો વ્યક્તિ આધ્યાત્મિકતાના ઉચ્ચ સ્તર સુધી પહોંચે છે. મુખ્ય દેવોના વાહનથી તો આપણે પરિચિત છીએ. તો જાણો તેની પસંદગી શેને આધારે કરવામાં આવી છે?
ગણપતિનું વાહન ઉંદર
સૌથી પહેલી વાત કરીશું પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશની. ગણેશનું વાહન મુશક છે એટલે કે ઉંદર છે. એક જગ્યાએ ટકીને ન રહેવાને કારણે મુશકને વ્યક્તિના મનનું પ્રતિક માનવામાં આવે છે. ભગવાન ગણેશ બુદ્ધિ, વિવેક અને એકાગ્રતાનું પ્રતિક છે. તેમની સવારી માટે ઉંદરની પસંદગી જણાવે છે કે માનવનું મન ચંચળ છે, ત્યાં જ આત્મજ્ઞાનથી આ અસ્થિરતાને નિયંત્રિત કરી શકાય છે. જ્યારે ચંચળ મન જ્ઞાનથી નિયંત્રિત થઈ એકાગ્રતા ધારણ કરી લે છે ત્યારે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
શિવનું વાહન નંદી
ભગવાન શિવનું વાહન છે વૃષરાજ નંદી. નંદી ધર્મનું પ્રતિક છે. નંદીનો સફેદ રંગ સત્વગુણોનું પ્રતિક છે અને ચારે પગ ધર્મના ચાર સ્તંભ દયા, દાન, તપ અને શૌચ મનાયા છે. જીવનમાં સાત્વિક ગુણોનું પાલન કરતા ધર્મની આ ચાર સ્તંભોને પોતાના જીવનનો આધાર બનાવી લેતા કોઈ પણ સાધક શિવત્વને પ્રાપ્ત કરી શકે છે.
લક્ષ્મીનું વાહન ઘુવડ
ધનની દેવી લક્ષ્મીનું વાહન ઘુવડ છે. બધા જ જાણે છે કે ઘુવડ દિવસના અજવાળે જોઈ શકતુ નથી. ઘુવડને લક્ષ્મીનું વાહન બનાવવા પાછળનો સંદેશ અતિ સુક્ષ્મ છે. જે વ્યક્તિ ધનની પાછળ ગાંડો થઈ જાય છે, વિચાર્યા વગર માત્ર ધનની જ કામના કરે છે તે જીવનમાં આત્મજ્ઞાન રૂપી સૂર્યને જોઈ શકતો નથી. ઘુવડની જેમ જ તે પોતાની સમજવા-વિચારવાની શક્તિ અને પ્રતિષ્ઠાને ગુમાવી દે છે.
અંબાનું વાહન સિંહ
આખા સંસારને પોતાના શરણમાં લેનારી માતા દુર્ગાનું વાહન છે સિંહ. સિંહ બળ અને પૌરૂષનું પ્રતિક છે. માતા દુર્ગાના ઉપાસક શક્તિશાળી હોય છે અને પોતાના દુશ્મનોનું દમન કરવામાં સમર્થ હોય છે. આજ કારણ છે કે માતા દુર્ગાના ભક્તોમાં ગુસ્સો અને હિંસાના ગુણ જોવા મળે છે. સિંહ પર માતા અંબા સવાર થઈ એ જ સંદેશ આપે છે કે, હિંસા અને બળ સમય અનુસાર જરૂરી છે પણ તે ત્યારે જ સાર્થક છે, જ્યારે મમતા અને કોમળતાને પોતાના સાથે લઈને ચાલે. નહિં તો આ ગુણ સંસારના વિધ્વંસનું કારણ બની શકે છે.
વિષ્ણુનું વાહન ગરુડ
સંસારના કર્તા-ધર્તા ભગવાન વિષ્ણુનું વાહન છે ગરુડ. ગરુડ વેદનું પ્રતિક છે. તેનામાં ઉડવાનું અસીમ સામર્થય હોય છે અને તેની દૂરદ્રષ્ટિ અદ્વિતિય છે. ગરુડ સંદેશ આપે છે કે, જ્ઞાનને આધાર બનાવી, વિવેકપૂર્ણ ગ્રહન દ્રષ્ટિથી કાર્ય કરી વ્યક્તિ જીવનમાં ઊંચાઈએ પહોંચી શકે છે.
યમનું વાહન પાડો
યમનું વાહન પાડો છે જે પ્રેતનું પ્રતિક મનાય છે. પરિણામે પાડાના દર્શન અશુભ મનાય છે. પાડો યમરાજની જેમ ભયાવહતાનો અનુભવ કરાવે છે. પાડો વ્યક્તિના મનમાં ભય ઉત્પન્ન કરે છે જો સાત્વિક ધર્મનો માર્ગ નહિં અપનાવો તો એક દિવસ મૃત્યુનો સામનો કરવો પડશે અને પોતાના કાર્યો અનુસાર અશુભ કામોનું પરિણામ જરૂર મળશે.