2000ની નોટ થઇ રહી છે બંધ? RBIએ લીધો મોટો નિર્ણય, આ તારીખ સુધી બદલાવી શકશો, જાણો
RBIએ ચલણમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2,000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. જો કે, રૂ. 2000 ના મૂલ્યની બેંક નોટો લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે.
મળતી માહિતી મુજબ, RBIએ આ નિર્ણય ક્લીન નોટ પોલિસી અંતર્ગત લીધો છે. આરબીઆઈએ કહ્યું છે કે આ નોટો 30 સપ્ટેમ્બર સુધી કાયદેસર રીતે માન્ય રહેશે. RBI એ RBI એક્ટ 1934ની કલમ 24(1) હેઠળ નવેમ્બર 2016માં આ નોટો જારી કરી હતી.

આ નોટો નોટબંધી બાદ રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવી હતી. 500 અને 1000 રૂપિયાની નોટો જે તે સમયે ચલણમાંથી હટાવી દેવામાં આવી હતી, તેની બજાર અને અર્થવ્યવસ્થા પર પડતી અસરને ઓછી કરી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય મૂલ્યોની બેંક નોટો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થઈ, ત્યારે બે હજાર રૂપિયાને ચલણમાં લાવવાનો હેતુ પૂરો થયો.
લોકો તેમના બેંક ખાતામાં રૂ. 2,000ની નોટો જમા કરાવી શકશે અથવા કોઈપણ બેંક શાખામાં જઈને અન્ય મૂલ્યોની નોટો સાથે બદલી શકશે. લોકોએ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે એક સાથે વધુમાં વધુ 20,000 રૂપિયાની નોટો બદલી શકાય છે. આ પ્રક્રિયા 23 મેથી શરૂ થશે અને 30 સપ્ટેમ્બર 2023ના રોજ સમાપ્ત થશે.
RBIએ પહેલાથી જ 2000 રૂપિયાની નોટ બંધ કરવાની યોજના બનાવી હતી. જે અંતર્ગત લાંબા સમય પહેલા તેની પ્રિન્ટીંગ બંધ કરી દેવામાં આવી હતી. સેન્ટ્રલ બેંકના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2019-20, 2020-21 અને 2021-22માં 2000 રૂપિયાની નોટો છાપવામાં આવી ન હતી. આ કારણે તેઓ હવે બજારમાં ભાગ્યે જ જોવા મળે છે.












Click it and Unblock the Notifications
