
અનિલ અંબાણીએ પોતાની શિપયાર્ડ કંપની 2700 કરોડ રૂપિયામાં વેચી
દેવામાં ડૂબેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ કંપની વેચાઈ ગઈ છે. મુંબઈના ઉદ્યોગપતિ નિખિલ મરચન્ટે તેને ખરીદવા માટે સૌથી વધારે 2700 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. રિલાયન્સ નેવલ કંપની મૂળભૂત રીતે પિપાવાવ શિપયાર્ડના નામથી જાણીતી છે.
એક બિઝનેસ મીડિયા રિપોર્ટ પ્રમાણે કમિટી ઓફ ક્રેડિટર્સ દ્વારા આ કંપનીની હરાજીમાં ભાગ લઈ રહેલી કંપનીઓ સાથે વાતચીત દરમિયાન તેમની પાસેથી હાઈએસ્ટ બિડ મંગાવવામાં આવ્યા હતા. જે પછી નિખિલ મર્ચન્ટ અને તેમના પાર્ટનર્સની કંપની હેઝલ મર્કેન્ટાઈલ પ્રાઈવેટ લિમિટેડે શિપયાર્ડ માટે 2700 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આ પહેલા તેમણે 2400 કરોડ રૂપિયાની ઓફર કરી હતી
આડીબીઆઈ બેન્ક રિલાયન્સ નેવલ કંપની એટલે કે શિપયાર્ડની લીડ બેન્ક છે. શિપયાર્ડને જાન્યુઆરીમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં લઈ જવાયુ હતુ, જેથી બાકી લોનની વસુલાત થઈ શકે. રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ પર 12000 કરોડ રૂપિયાનુ દેવુ છે, જેમાં સૌથી વધારે દેવુ 1965 કરોડ રુપિયા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનુ બાકી છે જ્યારે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાનુ 1555 કરોડ રુપિયાનુ દેવુ બાકી છે.
આ કંપની માટે ત્રણ કંપનીઓએ બોલી લગાવી હતી.જેમાં એક કંપનીએ તો માત્ર 100 કરોડની ઓફર કરી હતી.