Bank નિયમોમાં મોટો ફેરફાર: 1 નવેમ્બરથી બેંક એકાઉન્ટમાં 1 નહીં, 4 નોમિની ઉમેરી શકાશે, જાણો વધુ વિગત
New Bank Nomination Rules 2025: કેન્દ્રીય નાણાં મંત્રાલયે બેંક ખાતાધારકો માટે એક મહત્ત્વપૂર્ણ ફેરફારની જાહેરાત કરી છે. બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 અંતર્ગત નોમિનેશન (નામાંકન) સંબંધિત મુખ્ય જોગવાઈઓ 1 નવેમ્બર, 2025થી લાગુ થશે. આ ફેરફારનો હેતુ બેંકિંગ પ્રણાલીમાં દાવાઓના ઝડપી અને સુસંગત સમાધાન (ક્લેમ સેટલમેન્ટ) લાવવાનો છે.

બેંક એકાઉન્ટમાં 1 નહીં, 4 નોમિની ઉમેરી શકાશે
નવા સુધારા મુજબ, બેંક ખાતાધારકો હવે તેમના ખાતામાં એકસાથે અથવા ક્રમિક રીતે મહત્તમ 4 વ્યક્તિઓને નોમિની બનાવી શકશે.
- સરળ દાવો સમાધાન: આનાથી થાપણદારો (Depositors) અને તેમના નોમિની માટે દાવાઓનું સમાધાન કરવું ખૂબ જ સરળ બની જશે.
- પસંદગીની છૂટ: થાપણકર્તા પોતાની પસંદગી મુજબ એકસાથે અથવા ક્રમિક નામાંકનનો વિકલ્પ પસંદ કરી શકે છે.
લોકર અને સુરક્ષિત વસ્તુઓ માટે શું છે નિયમ?
સેફ કસ્ટડીમાં રાખવામાં આવેલી વસ્તુઓ અને સિક્યોરિટી લોકરના નામાંકન અંગે નિયમ અલગ છે.
- ક્રમિક નામાંકન ફરજિયાત: લોકરના કિસ્સામાં માત્ર ક્રમિક નામાંકન (Sequential Nomination) ની જ મંજૂરી છે.
- પારદર્શક વિતરણ: લોકર ધારકો મહત્તમ ચાર વ્યક્તિઓને નોમિની બનાવી શકે છે અને દરેક નોમિની માટે ચોક્કસ હિસ્સો અથવા ટકાવારી (કુલ 100%) નો ઉલ્લેખ કરવો ફરજિયાત છે.
- ઉત્તરાધિકારની સ્પષ્ટતા: ક્રમિક નામાંકનનો અર્થ એ છે કે, પહેલા નોમિનીનું અવસાન થાય તો જ તેના પછીના નોમિનીને લાભ મળશે. આનાથી લોકરના દાવા સમાધાનમાં સ્પષ્ટતા અને સાતત્ય જળવાઈ રહે છે.
કયા હેતુથી લાવવામાં આવ્યો આ સુધારો?
નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, આ જોગવાઈઓનો અમલ થવાથી ગ્રાહકોને તેમની પસંદગી મુજબ નામાંકન કરવાની સુવિધા મળશે, સાથે જ બેંકિંગ પ્રણાલીમાં દાવા સમાધાનમાં એકરૂપતા, પારદર્શિતા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત થશે.
આ કાયદાનો ઉદ્દેશ બેંકિંગ ક્ષેત્રમાં શાસન (ગવર્નન્સ) ધોરણોને મજબૂત કરવા, ગ્રાહક અને રોકાણકાર સુરક્ષા વધારવા અને જાહેર ક્ષેત્રની બેંકોમાં ઓડિટની ગુણવત્તા સુધારવાનો છે. આ નવા નિયમો 1 નવેમ્બર, 2025થી દેશની તમામ બેંકોમાં લાગુ થશે.












Click it and Unblock the Notifications
