મોદી કેબિનેટમાં થશે મોટો ધડાકો! ધર્મેન્દ્ર પ્રધાનની વિદાય અને નવા નાણામંત્રીની એન્ટ્રી પાક્કી?
સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા દેશના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મંત્રીમંડળમાં એક મોટો અને ચોંકાવનારો ફેરબદલ કરવાની અંતિમ તબક્કાની તૈયારીઓમાં વ્યસ્ત હોવાના અહેવાલો છે. આ ફેરબદલ માત્ર કેબિનેટ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનો સીધો સંબંધ ભારતીય જનતા પાર્ટીના સંગઠનાત્મક માળખામાં આગામી સમયમાં થનારા ફેરફારો સાથે પણ હોવાનું મનાય છે. શાસન અને સંગઠન વચ્ચે યોગ્ય સમન્વય સ્થાપિત કરવા આ મોટું પગલું લેવાઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ સરકાર અને સંગઠન બંનેમાં નવી ઉર્જાનો સંચાર કરવા માગે છે. આગામી સમયમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં પાર્ટી આ રાજ્યોમાં એક મજબૂત રાજકીય સંદેશ આપવા માંગે છે. આ કવાયત હેઠળ કેટલાક કેબિનેટ મંત્રીઓને સંગઠનની મુખ્ય ભૂમિકામાં મોકલવામાં આવશે, જ્યારે સંગઠનના પ્રભાવશાળી નેતાઓને મંત્રીમંડળમાં સામેલ કરીને સરકારનો જનસંપર્ક વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.

કેબિનેટ ફેરબદલ પાછળના મુખ્ય કારણો અને ધર્મેન્દ્ર પ્રધાન અંગેની ચર્ચા
આ સંભવિત ફેરબદલમાં સૌથી વધુ ચર્ચા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નામને લઈને થઈ રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના બેકગ્રાઉન્ડમાંથી આવતા ધર્મેન્દ્ર પ્રધાન છેલ્લા લાંબા સમયથી મોદી સરકારનો મહત્વનો હિસ્સો રહ્યા છે. હાલમાં તેઓ ઓડિશાના સંબલપુરથી સાંસદ છે અને જુલાઈ ૨૦૨૧થી શિક્ષણ મંત્રાલયનો હવાલો સંભાળી રહ્યા છે. જો કે, તાજેતરના સમયમાં નીટ (NEET) પરીક્ષાના પેપર લીક વિવાદ જેવા વિવિધ મુદ્દાઓને કારણે તેમનું મંત્રાલય વિપક્ષના સતત પ્રહારો હેઠળ રહ્યું છે.
શિક્ષણ મંત્રાલય સાથે જોડાયેલા આ વિવાદોના કારણે ધર્મેન્દ્ર પ્રધનની કેબિનેટમાંથી બાદબાકી થવાની સંભાવના છે. રાજકીય વર્તુળોમાં અટકળો છે કે જો શિક્ષણ મંત્રાલય ખાલી થશે તો નાણામંત્રી નિર્મલા સીતારમણને આ જવાબદારી મળી શકે છે. આવી સ્થિતિમાં દેશના નાણાકીય માળખાને સુદ્રઢ રાખવા ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને દેશના નવા નાણામંત્રી તરીકે સામેલ કરવામાં આવે તેવા સંકેત રાજકીય ગલિયારાઓમાં મળી રહ્યા છે, જોકે આ અંગે હજી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
બીજી તરફ, વર્ષ ૨૦૧૭થી સતત કેબિનેટ મંત્રી તરીકે કાર્યરત પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી પણ આ વખતે બદલાવની યાદીમાં હોઈ શકે છે. તેમની વધતી ઉંમર અને લાંબા સમયથી એક જ વિભાગ સંભાળતા હોવાથી પક્ષ તેમને નવી જવાબદારી આપવાનું મન બનાવી રહ્યો છે. તેમનો રાજ્યસભાનો કાર્યકાળ પણ આગામી નવેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ઉઠાવાયેલા ભૂતકાળના કેટલાક મુદ્દાઓ બાદ પક્ષ તેમના ભવિષ્ય અંગે નવો નિર્ણય લઈ શકે છે.
'એક વ્યક્તિ, એક પદ'ની નીતિ અને રાજ્યોના સમીકરણો
ભારતીય જનતા પાર્ટી પોતાની આંતરિક નીતિ 'એક વ્યક્તિ, એક પદ'ના નિયમ અંગે હંમેશા કડક અભિગમ ધરાવે છે. આ નીતિના આધારે નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને સહકારિતા રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાના કેબિનેટ પદ પર મોટો નિર્ણય લેવાઈ શકે છે. મહારાજગંજથી સાત વખત સાંસદ બનેલા પંકજ ચૌધરીને યુપી ભાજપના પ્રમુખ તરીકે જવાબદારી સોંપાઈ ચૂકી છે. આથી, વર્ષ ૨૦૨૭ની મહત્વની યુપી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને વેગ આપવા તેમને સરકારમાંથી મુક્ત કરી સંગઠન પર જ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના અપાઈ શકે છે.
આ જ ફોર્મ્યુલા દિલ્હીના સાંસદ હર્ષ મલ્હોત્રા પર કામ કરશે. પૂર્વ દિલ્હીથી સાંસદ બનેલા મલ્હોત્રાને તાજેતરમાં દિલ્હી ભાજપના પ્રમુખપદે નિયુક્ત કરાયા છે. પક્ષના નિયમો અનુસાર એક સાથે સંગઠન અને સરકાર બંનેના મહત્વના પદ સંભાળી શકાતા નથી. તેથી આગામી સમયમાં કોઈ એક જ સક્રિય ભૂમિકા રાખવા માટે મંત્રાલયમાંથી તેમની મુક્તિ નિશ્ચિત માનવામાં આવે છે. આ તમામ ફેરફારો દર્શાવે છે કે પાર્ટી આવનારી ચુંટણીઓની વ્યુહરચનાના ભાગરૂપે સંગઠનને મેદાન પર મજબૂત કરવાના મૂડમાં છે.
આ ઉપરાંત, કેબિનેટમાં પંજાબના પ્રતિનિધિત્વમાં મોટો વળાંક જોવા મળી રહ્યો છે. રેલવે રાજ્યમંત્રી તરીકે સેવા આપતા રવનીત સિંહ બિટ્ટુનો રાજ્યસભાનો કાર્યકાળ ૨૧ જૂન ૨૦૨૬ના રોજ પૂર્ણ થઈ ચૂક્યો છે. પંજાબમાં ભાજપને એક મજબૂત ઓળખ આપવા માટે પાર્ટી તેમને આગામી વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશના કોઈ મહત્વના વિભાગમાંથી મેદાને ઉતારવાની યોજના ધરાવે છે. બિટ્ટુએ પણ દિલ્હીથી સામાન સમેટીને હવે પંજાબની રાજનીતિ પર જ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની જાહેરાત કરીને પોતાના ઇરાદા વ્યક્ત કરી દીધા છે.
જોર્જ કુરિયનનું રાજીનામું અને ગઠબંધન પક્ષોની ભૂમિકા
મોદી કેબિનેટમાં મહત્વના ખ્રિસ્તી ચહેરો તરીકે સ્થાન મેળવનારા જ્યોર્જ કુરિયને ૨૩ જૂનના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સુપ્રીમ કોર્ટના વકીલ રહેલા કુરિયનને અગાઉ લઘુમતી બાબતોના મંત્રાલયની જવાબદારી મળી હતી. જો કે, કેરળ વિધાનસભા ચૂંટણી આવ્યા બાદ અને તેઓ કંજિરાપલ્લી બેઠક પર ત્રીજા સ્થાને ધકેલાઈ ગયા પછી તેમણે પદ પરથી રાજીનામું ધરવું પડ્યું હતું. તેમના રાજીનામા બાદ હવે દક્ષિણ ભારતમાં જાતિગત સમીકરણો બેલેન્સ કરવા માટે કેબિનેટમાં નવો ચહેરો લાવવામાં આવશે.
આ મંત્રીમંડળના વિસ્તરણમાં સાથી પક્ષોનું પ્રતિનિધિત્વ વધારવામાં આવી શકે છે. મહારાષ્ટ્રની એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેનાના વર્ષો જૂના સભ્યોને કેબિનેટમાં સામેલ કરવાની તૈયારી ચાલી રહી છે, જ્યારે પશ્ચિમ બંગાળના કેટલાક પ્રભાવશાળી ભાજપ સાંસદોને પણ સ્થાન મળી શકે છે. બીજી તરફ, કેબિનેટમાંથી વિદાય લેનાર જે વરિષ્ઠ મંત્રીઓ છે, તેમને કર્ણાટક, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા મહત્વપૂર્ણ રાજ્યોમાં આગામી સમયમાં થનારી રાજ્યપાલની ખાલી જગ્યાઓ પર નિમણૂક કરીને સન્માનજનક રીતે ગોઠવવામાં આવી શકે છે.
વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહની તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતો બાદ ફેરબદલની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે, સરકાર તરફથી આ અંગે કોઈ અંતિમ સત્તાવાર પ્રતિક્રિયા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ભાજપની ખાસિયત છે કે તે છેલ્લી ઘડી સુધી પોતાના ચોંકાવનારા નિર્ણયો ગુપ્ત રાખવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન કાર્યાલય અથવા રાષ્ટ્રપતિ ભવન દ્વારા સત્તાવાર જાહેરાત થયા બાદ જ કેબિનેટમાં કોની ખુરશી બચી અને કોણે વિદાય લેવી પડી તેનું ચિત્ર સ્પષ્ટ થશે.












Click it and Unblock the Notifications
