ચિત્તૂર મર્ડર કેસ: પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યો
આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાંથી એક હૃદયકંપાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે પુણેના ચર્ચિત કેતન અગ્રવાલ હત્યાકાંડની યાદ તાજી કરાવી દીધી છે. પુણેમાં જે રીતે સિયા ગોયલે પોતાના પ્રેમી સાથે મળીને મંગેતરની હત્યા કરી હતી, બરાબર એ જ રીતે ચિત્તૂરમાં હસિની નામની ૧૯ વર્ષની યુવતીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે. પવિત્ર મંદિર જવાનું બહાનું કાઢીને પત્ની પતિને જંગલ તરફ લઈ ગઈ અને ઈશારો કરીને પ્રેમી પાસે ક્રૂર હત્યા કરાવી. આ ઘટના સાથે જ બે વર્ષના લગ્નજીવનનો કરુણ અંત આવ્યો છે.
લગ્ન પહેલાનું અફેર બન્યું હત્યાનું કારણ
આ સમગ્ર મામલો શાંતિપુરમ મંડળના બોયિનપલ્લી ગામનો છે. અહીં રહેતી હસિની (૧૯ વર્ષ)ના લગ્ન વર્ષ ૨૦૨૪માં તમિલનાડુના શૂલાગિરીના રહેવાસી રમેશ (૨૩ વર્ષ) સાથે થયા હતા. આ દંપતીને એક વર્ષની દીકરી પણ છે. પોલીસના જણાવ્યા અનુસાર, લગ્ન પહેલાથી જ હસિનીનું તેના વતનના વિસ્તારના યુગંધર (૨૦ વર્ષ) નામના યુવક સાથે પ્રેમ પ્રકરણ (એક્સ્ટ્રામેરિટલ અફેર) ચાલી રહ્યું હતું. પતિને રસ્તામાંથી હટાવવા માટે હસિનીએ પ્રેમી યુગંધર સાથે મળીને આ ખોફનાક કાવતરું ઘડ્યું હતું.

કઈ રીતે આપ્યો હત્યાને અંજામ?
૧૪ જુલાઈના રોજ હસિનીએ પતિ રમેશને ગુડુપ્પલ્લે મંડળના મલ્લાપ્પા કોંડા સ્થિત શ્રી મલ્લેશ્વર સ્વામી મંદિર જવા માટે રાજી કર્યો. આખો પરિવાર મોટરસાઇકલ પર સવાર થઈને નીકળ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હસિની રસ્તામાં ફોન દ્વારા સતત તેના પ્રેમી યુગંધરને પોતાની લાઈવ લોકેશન શેર કરી રહી હતી, જેથી યુગંધર અને તેના સાથીદારો તેમની દરેક હિલચાલ પર નજર રાખી શકે.
હેન્ડબેગથી ઈશારો, ૧૦૦ મીટર પીછો અને હુમલો
મંદિરના રસ્તે ત્રીજા હેરપિન બેન્ડ (તીવ્ર વળાંક) પર હસિનીએ જાણીજોઈને પોતાની હેન્ડબેગ નીચે પાડી દીધી. રમેશ મોટરસાઇકલ રોકીને બેગ ઉઠાવવા નીચે ઉતર્યો. આ તકનો લાભ લઈને ત્યાં સંતાયેલા યુગંધર અને તેના સાથીદારો બહાર આવ્યા. ડરી ગયેલો રમેશ જંગલ તરફ ભાગ્યો, પરંતુ આરોપીઓએ આશરે ૧૦૦ મીટર સુધી જંગલમાં તેનો પીછો કર્યો અને તેને પકડી લીધો.
તેને જંગલમાં ઢસડીને બેરહેમીથી માર મારવામાં આવ્યો અને છરીના અસંખ્ય ઘા ઝીંકવામાં આવ્યા. અંતે એક મોટા પથ્થરથી માથું કચડીને તેને મોતને ઘાટ ઉતારી દેવાયો. ચોંકાવનારી વાત એ છે કે જ્યારે આ હત્યા થઈ રહી હતી ત્યારે ત્યાં એક વર્ષની માસૂમ બાળકી ઊભી ઊભી આ બધું જોઈ રહી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ રમેશની જ મોટરસાઇકલ પર બાળકીને સાથે લઈને ફરાર થઈ ગયા હતા.
પોલીસ તપાસ અને પુરાવા
ચિત્તૂર પોલીસે આ મામલે હસિની, યુગંધર અને તેના અન્ય સાથીદારો વિરુદ્ધ હત્યા, કાવતરું અને પુરાવાનો નાશ કરવા બદલ FIR નોંધી છે. પોલીસ તપાસમાં ફોન લોકેશન, કોલ ડિટેલ્સ અને સાક્ષીઓના નિવેદનો મહત્વના પુરાવા સાબિત થઈ રહ્યા છે. પોલીસનું કહેવું છે કે હસિનીએ જાણીજોઈને મંદિરના આ રસ્તાની પસંદગી કરી હતી કારણ કે ત્યાં ભીડ ઓછી હોય છે અને જંગલનો વિસ્તાર સંતાવા માટે અનુકૂળ હતો. કોઈને શંકા ન જાય તે માટે દીકરીને સાથે લઈ જવી એ પણ આ પ્લાનનો જ એક ભાગ હતો. હાલ પોલીસ ફોરેન્સિક પુરાવા અને CCTVના આધારે ફરાર આરોપીઓની શોધખોળ ચલાવી રહી છે.
પુણેના કેતન અગ્રવાલ કેસ સાથે કનેક્શન
ઉલ્લેખનીય છે કે, પુણેના ઉદ્યોગપતિ કેતન અગ્રવાલ હત્યાકાંડમાં પણ તેની મંગેતર સિયા ગોયલે પોતાના પ્રેમી ચેતન સાથે મળીને આવી જ ઘટનાને અંજામ આપ્યો હતો. સિયાએ લોહગઢની પહાડીઓ પર ફરવા જવાના બહાને કેતનને બોલાવ્યો હતો અને પ્રેમીને ઈશારો કરીને તેને પહાડી પરથી નીચે ધકેલી દીધો હતો. ચિત્તૂરના આ કિસ્સામાં પણ પત્નીએ બિલકુલ એ જ મોડસ ઓપરેન્ડી (ગુનો કરવાની રીત) અપનાવી છે.












Click it and Unblock the Notifications
