Budget 2022: મિડલ ક્લાસને કોઈ રાહત નહિ, ઈનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહિ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહિ કરવાનુ એલાન કર્યુ છે.
નવી દિલ્લીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ઈનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહિ કરવાનુ એલાન કર્યુ છે. મંગળવારે કેન્દ્રીય બજેટ 2022 રજૂ કરતી વખતે નાણામંત્રીએ કહ્યુ કે સરકાર આ વર્ષે ઈનકમ ટેક્સ સ્લેબમાં ચેન્જ નથી કરી રહી. મિડલ ક્લાસને બજેટમાં રાહતની આશા હતી પરંતુ આ વર્ગને કોઈ રાહત મળી નથી.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે આ વખતે પણ આવકવેરામાં કોઈ છૂટ નહિ આપવામાં આવે. આ બજેટમાં ઈનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરબદલ કરવામાં આવશે નહિ, તે પહેલાની જેમ ચાલતુ રહેશે. સંસદમાં 90 મિનિટના પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પેન્શન પર લાગતા ટેક્સમાં કર્મચારીઓને છૂટનુ એલાન કર્યુ. વળી, ક્રિપ્ટો કરન્સીથી થતી આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સપેયરને થોડી રાહત આપીને એલાન કર્યુ છે કે આવકવેરા રિટર્નમાં ભૂલ સુધારવા માટે બે વર્ષ સુધીનો સમય મળશે. હવે મૂળ રિટર્ન ફાઈલ કરવાના બે વર્ષ બાદ સુધી અપડેટેડ રિટર્ન ફાઈલ કરાવી શકાશે. સીતારમણે કહ્યુ કે 2014 બાદથી સરકારનુ જોર નાગરિકો ખાસ કરીને ગરીબોને સશક્ત કરવા પર છે. કૉર્પોરેટ ટેક્સને 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાનો પ્રસ્તાવનુ એલાન કરવામાં આવ્યુ.
તેમણે કહ્યુ કે લૉન્ગ ટર્મ કેપિટલ ગેઈન પર 15 ટકા ટેક્સ લાગશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એલાન કર્યુ છે કે કૉર્પોરેટ સરચાર્જ 12 ટકાથી ઘટાડીને 7 ટકા કરવામાં આવશે. વળી, રાજ્ય સરકારના કર્મચારીઓના સામાજિક સુરક્ષાના લાભોમાં મદદ કરવા અને તેમને કેન્દ્ર સરકારના કર્મચારીઓ સમાન લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓની આવકવેરા ઘટાડાની સીમા 10થી વધારીને 14 ટકા કરવામાં આવશે.
સીતારમણે કહ્યુ, આ બજેટ આવતા 25 વર્ષોની બ્લુ પ્રિન્ટ છે. 60 લાખ નવી નોકરીઓનુ સર્જન થશે. આવતા ત્રણ વર્ષોમાં 400 નવી જનરેશનની વંદે ભારત ટ્રેનો લાવવામાં આવશે. આવતા ત્રણ વર્ષોમાં 100 પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ વિકસિત થશે. સાથે જ ઈ-ચિપ લાગેલા પાસપોર્ટ આ વર્ષે આવશે. પોસ્ટ ઑફિસને કોરબેંકિંગ સિસ્ટમથી લેસ કરવામાં આવશે. 5જીસેવા આ વર્ષે આવશે અને ગામોને બ્રૉડબેન્ડથી જોડવામાં આવશે.