Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં રજૂ કરશે સામાન્ય બજેટ, આ સેક્ટર પર રહેશે નજર
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. સમગ્ર દેશની નજર તેમના પર રહેશે.
Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં દેશનુ સામાન્ય બજેટ રજૂ કરશે. બજેટ સત્રની શરુઆત 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના બંને ગૃહોની સંયુક્ત બેઠકના સંબોધન સાથે થઈ. ત્યારબાદ નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રજૂ કર્યો છે. જેમાં અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે કે ભારતનો વિકાસ દર સાડા છ ટકા રહેશે. આજે રજૂ થનારા સામાન્ય બજેટ પર સહુ કોઈની નજર છે. સર્વિસ ક્લાસથી લઈને ઉદ્યોગ જગતની નજર બજેટ પર છે.
તમને જણાવી દઈએ કે મોદી સરકારના બીજા કાર્યકાળનુ આ છેલ્લુ પૂર્ણ-સમયનુ બજેટ છે, તેથી માનવામાં આવે છે કે આ બજેટમાં કેટલીક લોકપ્રિય જાહેરાતો થઈ શકે છે. આજના બજેટ પાસેથી મધ્યમ વર્ગીય પરિવારને સૌથી વધુ અપેક્ષા છે. મિડલ ક્લાસ ફેમિલી ટેક્સ સ્લેબમાં મુક્તિ તરફ જોઈ રહ્યા છે. ગઈ વખત સરકારે 2020માં ટેક્સ સ્લેબમાં છૂટ આપી હતી, પરંતુ જે રીતે મોંઘવારી વધી છે તે પછી લોકોને આશા છે કે ટેક્સ સ્લેબમાંથી મુક્તિ મળશે. આ સાથે જ લોકોને 80C હેઠળ આપવામાં આવેલી છૂટને 2 લાખ રૂપિયાથી વધારી દેવાની પણ અપેક્ષા છે.
માનવામાં આવે છે કે સરકાર આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે મોટી જાહેરાત કરી શકે છે. મેક ઈન ઈન્ડિયા સાથે વોકલ ફૉર લોકલના મિશનને વધારવા માટે સરકાર આ વર્ગને આર્થિક રાહતની જાહેરાત કરી શકે છે. નિકાસ વધારવા માટે સરકાર આજે બજેટમાં કેટલીક મોટી જાહેરાત કરી શકે છે. માનવામાં આવે છે કે આ માટે સરકાર 4-5 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી શકે છે, જેથી દેશમાં એક્સપોર્ટ હબ બની શકે.
આર્થિક નિષ્ણાતોનુ કહેવુ છે કે ભારતમાં આગામી 10 વર્ષમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ક્ષમતા છે. આવી સ્થિતિમાં સરકારે દરેક ક્ષેત્ર પર ધ્યાન આપવાની જરૂર છે. સરકાર મેક ઇન ઇન્ડિયા પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. આ બજેટમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ પર વિશેષ ધ્યાન આપવામાં આવી શકે છે. તેને વધારવા માટે 50 જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આને આગળ લઈ 750 જિલ્લાઓનું ક્લસ્ટર તૈયાર કરવાની તૈયારી ચાલી રહી છે. આથી સરકાર આ દિશામાં મોટી જાહેરાત કરી શકે છે.
સ્વાસ્થ્ય અને પર્યટન એ દેશમાં ખૂબ મોટુ ક્ષેત્ર છે. લોકો તબીબી સેવાઓ માટે મોટી સંખ્યામાં ભારતમાં આવે છે, તેનુ મુખ્ય કારણ એ છે કે ભારતમાં સસ્તી સારવાર ઉપલબ્ધ છે. ભારતીય નાગરિકોની વાત કરીએ તો તેમની સારવાર કરાવવી હજુ પણ ખૂબ ખર્ચાળ છે. લોકોને સસ્તી સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી છે. ભારતમાં સ્વાસ્થ્ય વીમો લેનારાઓની સંખ્યા ઘણી ઓછી છે. આર્થિક સર્વે મુજબ માત્ર 41 ટકા પરિવારો પાસે સ્વાસ્થ્ય વીમો છે. શહેરોમાં માત્ર 38.1 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 42.4 ટકા લોકો પાસે આરોગ્ય વીમો છે. આવી સ્થિતિમાં સરકાર આ અંગે મોટી જાહેરાત કરી શકે છે.