કેન્દ્ર સરકાર જમીન સંપાદન કાયદાને ઇન્વેસ્ટર ફ્રેન્ડલી બનાવશે
નવી દિલ્હી, 16 જુલાઇ : વિકાસની ગાડી ફૂલ સ્પીડમાં દોડાવવા માટે કેન્દ્ર સરકારે હવે જમીન સંપાદન ધારાની મદદ લેવાનું નક્કી કર્યું છે. આ માટે કેન્દ્ર સરકાર જમીન સંપાદન કાયદાને રોકાણકારોને અનુકૂળ બનાવવાની દિશામાં કામ કરવા જઇ રહી છે.
જમીન સંપાદન કાયદાને રોકાણકારોને અનુકૂળ બનાવવા માટે સરકાર આ કાયદાની કેટલીક જોગવાઈઓને નરમ કે હળવી બનાવશે. ખેડૂતોને અનુકૂળ આ કાયદામાં થનારા ફેરફાર માટે સર્વસંમતિ સાધવા માટે સરકારે તમામ પક્ષો સાથે મંત્રણા પણ શરૂ કરી દીધી છે.
ગ્રામીણ વિકાસ મંત્રાલયે આ સંદર્ભમાં વર્તમાન કાયદામાં અનેક ફેરફાર સૂચવ્યા છે. આ સંબંધિત એક નોંધ વડાપ્રધાનના કાર્યાલયને મોકલી આપવામાં આવી છે.

વર્તમાન કાયદા અનુસાર સરકારી તથા ખાનગી ભાગીદારી હેઠળના પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન કરતાં પહેલાં ઓછામાં ઓછી 70 ટકા સ્થાનિક લોકોની અને પ્રાઇવેટ પ્રોજેક્ટ્સના સંદર્ભમાં 80 ટકા સ્થાનિક લોકોની સહમતી ફરજિયાત હોવાની જોગવાઈ છે. આ જોગવાઈને સરકાર નરમ બનાવવા ઇચ્છે છે.
ગ્રામીણ વિકાસ મંત્રાલયની નોંધમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે 'કન્સેન્ટ સંબંધિત જોગવાઈ વિશે પુનર્વિચારણા કરવી જરૂરી છે, કારણ કે સરકારી તથા ખાનગી ભાગીદારીના પ્રોજેક્ટ્સમાં જમીનની માલિકી સરકારની હોય છે. આથી આવા તમામ પ્રોજેક્ટ્સમાં કન્સેન્ટની જોગવાઈ નાબૂદ કરવી જોઈએ. કન્સેન્ટનું પ્રમાણ 70 ટકાથી ઘટાડીને 50 ટકા કરવાનો વિકલ્પ પણ વિચારી શકાય.'
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ગ્રામીણ વિકાસપ્રધાન નીતિન ગડકરી અને તેમના પ્રધાનમંડળના સાથીઓએ આ મુદ્દે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે ચર્ચા શરૂ કરી દીધી છે. આ ચર્ચાના નિષ્કર્ષને આધારે સર્વપક્ષીય બેઠક યોજવામાં આવશે. એમાં સર્વસંમતિ સર્જાશે તો સરકાર આ કાયદામાં સંસદના વર્તમાન સત્રમાં જ સુધારા કરશે.
ભૂતપૂર્વ ગ્રામીણ વિકાસપ્રધાન જયરામ રમેશના કાર્યકાળમાં આ કાયદાના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી ચૂકેલા મુહમ્મદ અલી ખાને કાયદામાં ફેરફાર સામે ચેતવણી આપતાં કહ્યું હતું કે પ્રસ્તુત કાયદાની દરેક જોગવાઈ વ્યાપક ચર્ચા-વિચારણા પછી જ ઘડવામાં આવી છે. હવે પછી એમાં ફેરફાર કરવામાં આવે એ ન્યાયસંગત હોય એ સુનિશ્ચિત કરવું જોઈએ.












Click it and Unblock the Notifications
