બેંક કર્મચારીઓની 23 ટકા પગાર વધારાની માંગ અયોગ્ય : IBA
નવી દિલ્હી, 25 ડિસેમ્બર : ઇન્ડિયન બેંક એસોસિએસન (આઇબીએ) દ્વારા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન તરફથી કરવામાં આવેલી 23 ટકા પગાર વધારાની માંગણીને અયોગ્ય અને અર્થહીન ગણાવવામાં આવી છે.
આ અંગે એક નિવેદન બહાર પાડીને આઇબીએ દ્વારા સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે કે 'આઇબીએની મેનેજિંગ કમિટી અને તમામ બેંકના ચેરમેન એકમત ધરાવે છે કે બેંક યુનિયનો તરફથી કરવામાં આવેલી 23 ટકા પગાર વધારાની માંગણી અતાર્કિક, અર્થહીન અને અયોગ્ય છે.'
વાસ્તવમાં બેંક મેનેજમેન્ટ 11 ટકાનો પગાર વધારો આપવા ઇચ્છે છે. આનાથી વધારે પગાર વધારો આપવામાં સમસ્યા એ છે કે બેંકો પર બોજમાં વધારો થશે. વર્તમાન સમયમાં 11 ટકાનો પગાર વધારો આપતા બેંકો પર 12.5 ટકાનો બોજ પડશે. આ આંકડાઓ બેંકોની પેઇંગ કેપેસીટી, ઓછા નફા, ઉંચી જોગવાઇઓની જરૂરીયાત અને ભવિષ્યની કેપીટલ રિકવાયરમેન્ટને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા છે.
નોંધનીય છે કે બેંક યુનિયનો અને આઇબીએ વચ્ચે 14 વખત વાતચીત થઇ ચુકી છે. જેમાં મોંઘવારી ભથ્થાના વિલય ઉપર સહમતી બની છે. જો કે હજુ બંને પક્ષો વેતન વધારાના મામલે સહમત નથી થયા. આઇબીએએ બેંક યુનિયનોને વિનંતી કરી છે કે તેઓ આંદોલન પાછું ખેંચી લે અને વાટાઘાટો માટે આગળ આવે.
ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ ફોરમે 7મી જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાલનું એલાન આપ્યુ છે. ત્યાર બાદ 21 થી 24 દરમિયાન ચાર દિવસની દેશવ્યાપી હડતાલનું એલાન આપ્યું છે. આટલાથી માંગણી નહિ સંતોષાય તો 16મી માર્ચથી અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી આપી છે.
બેંક કર્મચારીઓને માટે ઓકટોબર 2012થી વેતન વધારો લટકી રહ્યો છે. અગાઉ 7મા અને 8મા સેટલમેન્ટમાં વેતન વધારો 10 ટકા અને 13 ટકાની વચ્ચે આપવામાં આવ્યો હતો. હાલ કર્મચારીઓને 11 ટકા વેતન વધારો આપવાની ઓફર થઇ છે.
બેંકોના કર્મચારીઓ 7 જાન્યુઆરીએ હડતાલ છે તે પુર્વે ચીફ લેબર કમિશ્નરે 5 જાન્યુઆરીના રોજ બંને પક્ષકારોની એક બેઠક પણ બોલાવી છે.