અર્થતંત્રને પાટા પર લાવવા નાણાકીય શિસ્ત જરૂરી : અરૂણ જેટલી
શ્રીનગર, 16 જૂન : દેશના નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું છે કે દેશની અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવા માટે નાણાકીય શિસ્તની જરૂર છે. કારણ કે સતત બે વર્ષથી વૃદ્ધિદર 5 ટકાથી ઓછો રહ્યો છે. નોંધનીય છે કે જેટલી પાસે રક્ષા મંત્રાલય પણ છે.
રક્ષા મંત્રી તરીકે સુરક્ષા સમીક્ષા બેઠક માટે શ્રીનગર આવેલા અરૂણ જેટલીએ સંવાદદાતાઓને જણાવ્યું કે વર્તમાન સમયમાં આપે એવા નિર્ણયો કરવાના રહેશે જેનાથી દેશનું વર્તમાન અર્થતંત્ર ફરી પાટા પર ચઢે.
જેટલીએ જણાવ્યું કે નાણાકીય શિસ્તના પ્રારંભિક પગલાં બાદ દેશમાં અને જનતા માટે મજબૂત અર્થવ્યવસ્થાના રૂપમાં તે બહાર આવશે. જો કે વર્તમાન સમયમાં કોઇ પણ પ્રકારની અન્ય નાણાકીય અશિસ્ત આપણા દેશને ડામાડોળ સ્થિતિમાં પહોંચાડી દેશે. આર્થિક સ્તરે હજી પણ આપણા દેશની હાલત પડકારજનક છે. ફુગાવાનો દર પણ ઊંચો જ છે.
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇ કાલે દેશની આર્થિક સ્થિતમાં સુધારો કરવા માટે જનતાને આવનારા એક-બે વર્ષ સુધી આકરા નિર્ણયો માટે તૈયાર રહેવા માટે જણાવ્યું હતું. આ અંગે વડાપ્રધાને જણાવ્યું કે આકરા પગલાંમાંથી આપને અનેક પગલાં પસંદ નહીં આવે, પરંતુ અંતમાં તે દેશ માટે લાભકર્તા નીવડશે. તેનાથી સૌને ફાયદો થશે.