ફ્લિપકાર્ટ 3 કલાકમાં પ્રોડક્ટ ડિલિવરી આપવા લોજિસ્ટિક સર્વિસ મજબૂત કરશે
નવી દિલ્હી, 5 જાન્યુઆરી : ભારતની અગ્રણી ઓનલાઇન રિટેલ કંપની ફ્લિપકાર્ટ આગામી છ મહિનામાં આપને માત્ર 3 કલાકમાં પ્રોડક્ટ ડિલિવરી આપી દેશે. આ માટે તેણે પોતાની લોજિસ્ટિક્સ સેવાઓ અને ડિલિવરી ચેઇનને વધારે મજબૂત કરવાનો પ્લાન ઘડી કાઢ્યો છે.
ઓનલાઇન શોપિંગ માર્કેટમાં વધી રહેલી કોમ્પિટિશનમાં ટકી રહેવા દેશની વિવિધ ઇ કોમર્સ કંપનીઓ પોતાના વિવિધ પાસાઓને મજબૂત કરી રહી છે. ઘણી કંપનીઓ વધારે ડિસ્કાઉન્ટ ઓફર કરીને ગ્રાહકોને આકર્ષી રહી છે તો કેટલીક કંપનીઓ ઝડપી ડિલિવરી સેવા પૂરી પાડવાના લક્ષ્ય સાથે માર્કેટમાં આગળ આવવા પ્રયાસ કરી રહી છે.
ફ્લિપકાર્ટની આ ફાસ્ટેસ્ટ સેવાનો લાભ મેળવવા માટે ગ્રાહકે તેની વધારે ફી પણ ચૂકવવી પડશે. આ માટે બેંગલુરુ સ્થિત ફ્લિપકાર્ટ કઈ પ્રોડક્ટ્સ અને કયા શહેરથી શરૂઆત કરવી તેનો અભ્યાસ કરી રહી છે.
આ અંગે અંગ્રેજી બિઝનેસ દૈનિક ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર છ મહિનાની અંદર આ ઝડપી ડિલિવરી સર્વિસ શરૂ કરી દેવામાં આવશે. આ માટે ફ્લિકકાર્ટ જેની સેવાઓ લઇ રહી છે તેવી WS રિટેલ અને ઇકાર્ટ લોજિસ્ટિક્સના હેડ સુજિત કુમારે કહ્યું હતું કે 'આ સર્વિસ માટે અમારે ટેક્નોલોજી અને ભાવનો હિસાબ કરવો પડશે. આવી ડિલિવરી તાકીદની જરૂરિયાતના સમયે ઊભી થાય છે, જેમ કે ગ્રાહક કોઈને ગિફ્ટ આપવા માંગતો હોય ત્યારે અથવા તો તેને મોબાઇલ ચાર્જર જેવી વસ્તુની તાત્કાલિક જરૂર ઊભી થઈ હોય ત્યારે.'
લોજિસ્ટિક્સ હેડનું કહેવું છે કે 'ફ્લિપકાર્ટે ત્રણ કલાકમાં ડિલિવરી જેવું બિઝનેસ મોડલ આપવું હશે તો તે ટકે એવું હોય એ જરૂરી છે કારણ કે ગ્રાહકને તે મોંઘું પડી શકે છે. અમારું માનવું છે કે કંપની જુલાઈ જેટલા નજીકના સમયગાળામાં જ ત્રણથી ચાર શહેરોમાં કેટલીક પ્રોડક્ટ્સ માટે આ સર્વિસ શરૂ કરશે.'
અત્યારે ભારતની ટોચની ત્રણ ઇ-કોમર્સ કંપનીઓ એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ મોટાં શહેરોમાં ઓર્ડર આપ્યાના દિવસે જ ડિલિવરીની સર્વિસ ઓફર કરે છે પણ ફી લે છે. ફ્રી ડિલિવરી જોઈતી હોય તો એક દિવસ રાહ જોવી પડે છે, પણ આવું થતું નથી અને ગ્રાહકોએ એકાદ દિવસ વધારે રાહ જોવી જ પડે છે.
આમ, જો ઝડપી ડિલિવરી સર્વિસ શરૂ થાય તો ગળાકાપ સ્પર્ધાવાળા ઇ-કોમર્સ માર્કેટમાં પણ ઝડપભેર વૃદ્ધિ થઈ શકે છે. આ શક્યતા પારખીને જ કદાચ એમેઝોને ભારતમાં પણ અમેરિકા જેવી સર્વિસ શરૂ કરવા માંગે છે. કંપની મેનહટનમાં તો 7.99 ડોલર ફી લઈને 60 મિનિટમાં ડિલિવરીની સર્વિસ ઓફર કરે છે.
નિષ્ણાતો કહે છે કે ભારતની કંપનીઓએ ઝડપી ડિલિવરી માટે કેટલીક ખામીઓ દૂર કરવાની જરૂર છે અને મધ્ય ભાગમાં બને તેટલા વધારે વેરહાઉસ ખોલવાની જરૂર છે.