સરકાર ગેસના ભાવની ગણતરી કરતી પદ્ધતિ બદલશે
નવી દિલ્હી, 30 ડિસેમ્બર : સરકાર તાજેતરમાં મંજૂર થયેલી ગેસના ભાવની નવી પદ્ધતિ પર ટોચમર્યાદા લાદવા વિચારી રહી છે. તેનો હેતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં થતી ભાવની હિલચાલથી ભારતીય ગ્રાહકોનું રક્ષણ કરવાનો છે.
ભારતમાં ગેસના ભાવ નક્કી કરવાની પદ્ધતિને આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક્સ સાથે સાંકળવામાં આવી છે અને આ બેન્ચમાર્ક્સ દર છ મહિને બદલાતા રહે છે. કેબિનેટે 18 ઓક્ટોબરે નવી પદ્ધતિને મંજૂરી આપી હતી જેથી 1 નવેમ્બરથી છ મહિના સુધી પ્રતિ યુનિટ ગેસનો ભાવ 5.61 ડોલર નક્કી થયો હતો.
આ અંગે બિઝનેસ દૈનિક ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર કેબિનેટના તાજેતરના નિર્ણય મુજબ ગેસના ભાવની પદ્ધતિ પર મર્યાદા મૂકવા સંબંધિત મુદ્દાની તપાસ ડાયરેક્ટરેટ જનરલ ઓફ હાઈડ્રોકાર્બન્સ (DGH) કરશે. કેબિનેટે જે પદ્ધતિને મંજૂરી આપી હતી તેની ભલામણ કમિટી ઓફ સેક્રેટરીઝ (CoS)એ કરી હતી અને સચિવોની આ સમિતિએ પણ ભાવ પર યોગ્ય મર્યાદા મૂકવાની ભલામણ કરી હતી.
કેબિનેટના નિર્ણયથી પરિચિત એક સૂત્રએ કહ્યું હતું કે, ગેસના ભાવ પર મર્યાદા લાદવાના સૂચન માટે કાનૂની, આર્થિક અને વાજબીપણાનાં પરીક્ષણો કરવા જરૂરી હોવાથી પ્રથમ કિસ્સામાં DGH તપાસ કરે તેવી દરખાસ્ત કરવામાં આવી છે. DGHના રિપોર્ટ બાદ પેટ્રોલિયમ મંત્રી અને નાણામંત્રીની મંજૂરી બાદ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
2012માં રંગરાજન સમિતિએ સૂચવેલી અને UPA સરકારે મંજૂર રાખેલી ગેસના ભાવની પદ્ધતિની સમીક્ષા માટે સરકારે ઓગસ્ટમાં CoSની રચના કરી હતી જેમાં ખાતર, વીજ અને ખર્ચ મંત્રાલયોના સચિવો સામેલ છે. અગાઉની સરકારે જાન્યુઆરી 2014માં ભાવની નવી પદ્ધતિ નોટિફાય કરી હતી પણ ચૂંટણીને કારણે આચારસંહિતાનો ભંગ થતો હોવાથી ગેસના ભાવ જાહેર કરી શકી નહોતી. તે ભાવપદ્ધતિમાં ગેસના ભાવ 1 એપ્રિલ 2014થી પ્રતિ યુનિટ 4.20 ડોલરથી વધારીને 8.4 ડોલર કરવાની ભલામણ હતી.
ઓઇલ-ગેસ ઉદ્યોગ આવી મર્યાદાથી ખુશ નથી અને જો તે લાગુ પડશે તો ઉદ્યોગને વધુ નુકસાન જશે એવી દલીલ કરે છે. એક ઊર્જા કંપનીના CEOએ નામ ગુપ્ત રાખવાની શરતે કહ્યું હતું કે પ્રતિ યુનિટ 5.61 ડોલરનો તાજેતરમાં નક્કી થયેલો ભાવ જ અસરકારક રહેશે કે નહીં તેની શંકા છે. આયાતી ગેસના ભાવ કરતા આ ભાવ ત્રીજા ભાગનો છે.