નાના વેપારીઓને દિવાળી ભેટ, દર મહિને GST રિટર્ન નહીં ભરવું પડે
જીએસટી મામલે મોદી સરકારે શું નવા નિયમો બહાર પાડ્યા છે તે અંગે વિગતવાર જાણો અહીં.
કેન્દ્ર સરકારે નાના વેપારીઓને મોટી છૂટ આપી તેમની દિવાળી સુધારી લીધી છે. સરકારે તેમના રિટર્ન દાખલ કરવાની સમય સીમા વધારી છે. જીએસટી લાગુ થયા પછી વ્યવસાયમાં થઇ રહેલી મુશ્કેલી અને અર્થવ્યવસ્થા પર પડી રહેલી તેની અસરને જોતા સરકારે નાના વેપારીઓને મોટી રાહત આપતા દર મહિને દાખલ કરવામાં આવતા જીએસટી રીટર્નના બદલે ત્રણ મહિને રિર્ટન ભરવાની માંગણીને મંજૂરી આપી દીધી છે. કમ્પાઉન્ડિંગ સ્કીમની સીમા 75 લાખ થી 1 કરોડ કરી દેવામાં આવી છે. સાથે જ વેપારીએ ત્રિમાસી રિટર્ન દાખલ કરવા મામલે પણ છૂટ આપવામાં આવી છે. જીએસટી કાઉન્સિલમાં બેઠક પછી નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે બેઠકમાં નાના વેપારીઓની સમસ્યા પર ચર્ચા કરવામાં આવી હતી. જે પછી નિકાસકારો માટે ઇ-વોલેટ વ્યવસ્થા શરૂ કરવામાં આવ્યા છે.
સાથે જ કમ્પાઉડિંગ સ્કીમ હેઠળ 75 લાખ રૂપિયાના ટર્નઓવરની સીમા વધારીને 1 કરોડ રૂપિયા કરવામાં આવી છે. આવા વેપારીઓ હવે 3 મહિનાના કુલ વેચાણ 1 ટકા જમા કરી રિટર્ન દાખલ કરી શકે છે. રિવર્સ ચાર્જની વ્યવસ્થા પણ આવનારા વર્ષની 31 માર્ચ સુધી સ્થગિત કરી લેવામાં આવી છે. સાથે જ જેમ્સ એન્ડ ઝ્વેલરી પર સરકારે પોતાની પહેલાની સૂચનાઓ રદ્દ કરી ટૂંક સમયમાં નવી સૂચનાઓ જાહેર કરવાની વાત કરી છે. આમ જીએસટી લાગુ કર્યાના 3 મહિના પછી સરકારે જીએસટી મામલે આવી રહેલી મુશ્કેલીઓનું નિરાકરણ શોધવાનો પ્રયાસ શરૂ કર્યો છે.