ગુજરાતના 28 ગરબા આયોજકોને GST વિભાગની નોટિસ
ગુજરાતમાં હાલમાં જ જીએસટી (GST) ના દરોડા પડ્યા હતા. હવે જીએસટી વિભાગે રાજ્યભરના 28 મોટા કોમર્શિયલ ગરબા આયોજકોને નોટિસ ફટકારતા ખળભળાટ મચી ગયો છે.
નવરાત્રી દરમિયાન મોટા પાયે આયોજિત થયેલા અને વ્યવસાયિક સ્વરૂપ ધારણ કરનારા આ ગરબા મહોત્સવોમાં મોટી ટેક્સ ગેરરીતિઓ અને ચોરીની શંકાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

40 લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા આ આયોજકોને તેમની કંપનીની વિગતો, GST રજિસ્ટ્રેશન નંબર, અને તેમના કાર્યક્રમો સંબંધિત તમામ નાણાકીય વ્યવહારોની માહિતી પૂરી પાડવા જણાવાયું છે.
નોટિસ મુજબ, આયોજકોએ ગ્રાઉન્ડ અને એસી ડોમનું ભાડું, ફૂડ સ્ટોલ અને પાર્કિંગ કોન્ટ્રાક્ટરો સાથેના કરારો, તેમજ સ્કેનર અને QR કોડ દ્વારા પ્રાપ્ત થયેલા તમામ પેમેન્ટની વિગતો રજૂ કરવી પડશે.
સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ઓક્ટોબરના GST રિટર્નમાં કોઈ પણ પ્રકારની વિસંગતતા જણાશે તો દંડ અને બાકી રકમની વસૂલાત માટે બેંક લોકર સીલ કરવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.
GST વિભાગની આ તપાસ માત્ર ગરબા આયોજકો પૂરતી સીમિત નથી. વિભાગે તેના તપાસનો વ્યાપ વધારતા સ્પોન્સર્સ (પ્રાયોજકો), બિલ્ડર્સ, ટેક્સટાઇલ પાર્ક ડેવલપર્સ, હીરા ઉદ્યોગપતિઓ, કોલસા આયાતકારો, ડેકોરેટર્સ, કેટરર્સ, કોલ્ડ ડ્રિંક્સ વિક્રેતાઓ, લાઇટ-સાઉન્ડ સિસ્ટમ ઓપરેટરો અને જાહેરાત એજન્સીઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આમાંથી અનેક કંપનીઓ શહેરોમાં લગાવેલા મોટા હોર્ડિંગ્સ અને સ્પોન્સરશિપ બેનરો દ્વારા ઓળખાઈ છે.
અહેવાલો અનુસાર, નવરાત્રી દરમિયાન, GST અધિકારીઓએ પોતે જ કાર્યક્રમના એન્ટ્રી અને પાર્કિંગ પાસ ખરીદ્યા હતા. એટલું જ નહીં તેઓએ સ્થળો પરની ભીડ, વાહનો અને થતા નાણાકીય વ્યવહારોનું વિડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું. વેપારના કદનો અંદાજ મેળવવા મા ફૂડ અને બેવરેજની કિંમતો પણ દસ્તાવેજીકૃત કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, ઊંચા ભાવે પાસ વેચાયા હોવા છતાં, આયોજકોએ આવક ઓછી દર્શાવવા માટે તેમના રેકોર્ડમાં ફ્રી પાસની સંખ્યા વધારીને દર્શાવી હોવાનું સામે આવ્યું છે.












Click it and Unblock the Notifications
