મોંઘા થઈ જશે ઘર, ગુજરાત સરકાર જંત્રી વધારવાની તૈયારીમાં
ગુજરાતમાં મિલકત અને જમીનની લે-વેચ સાથે સંકળાયેલા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર આગામી જાન્યુઆરી-૨૦૨૬ના મધ્ય અથવા અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં નવી જંત્રી અમલી બનાવવા સઘન તૈયારીઓ કરી રહી છે. મહેસૂલ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા નવા દરોને કારણે જમીન અને મકાનોના બજારભાવમાં નોંધપાત્ર ઉલટફેર જોવા મળી શકે છે.

નવી જંત્રીના અમલથી મકાનો અને જમીનોના સરકારી ભાવ વધવાની શક્યતા છે. આ વધારાના કારણે દસ્તાવેજ નોંધણી સમયે ભરવી પડતી સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીમાં વૃદ્ધિ થશે. આ ઉપરાંત જંત્રીના દર વધવાથી એફ.એસ.આઈ. (FSI) ના દર પણ ઊંચા જશે, જે ફ્લેટ કે બંગલાની કિંમતને સીધી અસર કરશે અને મધ્યમ વર્ગને પ્રભાવિત કરશે.
ગુજરાત સરકારે આગામી વિધાનસભાના બજેટ સત્ર પૂર્વે જ નવી જંત્રી અમલી બનાવવાની યોજના બનાવી છે. જાણકારો માને છે કે આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય મહેસૂલી આવકમાં વૃદ્ધિ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે પારદર્શિતા લાવવાનો છે. આનાથી શહેરી અને ગ્રામ્ય મિલકતોના સરકારી ભાવ બદલાશે, જેની સીધી અસર નોંધણી અને પ્રોપર્ટી માર્કેટ પર પડશે.
ઉલ્લેખનીય છે કે, ૧૩ એપ્રિલ-૨૦૨૩ના રોજ અમલમાં મુકાયેલી અગાઉની જંત્રીમાં દરોની વિસંગતતાઓને કારણે ખેડૂતો અને બિલ્ડર લોબી દ્વારા વિરોધ કરાયો હતો. ઘણા વિસ્તારોમાં જંત્રી બજાર ભાવ કરતા ઊંચી હતી અથવા પડોશી સર્વે નંબરો વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો.
આ વિરોધ બાદ સરકારે નવેમ્બર-૨૦૨૪માં લોકો પાસેથી વાંધા-સૂચનો મંગાવ્યા હતા. આ સૂચનોનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિક પદ્ધતિથી નવા દર નક્કી કરાયા છે, જેથી અગાઉની ખામીઓ નિવારી શકાય.
હવે સૌની નજર મહેસૂલ વિભાગ પર છે. આ જંત્રી 'વૈજ્ઞાનિક' હોવાનો સરકારે દાવો કર્યો છે, પરંતુ જાન્યુઆરીમાં નવા દરો જાહેર થયા બાદ જ જનતા અને બિલ્ડરોનો પ્રતિસાદ સ્પષ્ટ થશે. જો લોકોના વાંધા-સૂચનો યોગ્ય રીતે ધ્યાનમાં લેવાયા હશે, તો વિરોધની શક્યતા ઓછી રહેશે, અન્યથા રિયલ એસ્ટેટ સેક્ટરમાં ફરી ગરમાવો જોવા મળી શકે છે.












Click it and Unblock the Notifications
