ગુજરાતી IAS હસમુખ અઢિયા બન્યા નવા ફાઇનાન્શિયલ સર્વિસ સેક્રેટરી
નવી દિલ્હી, 5 નવેમ્બર : નરેન્દ્ર મોદી સરકાર આગામી ફેબ્રુઆરી, 2015માં નવું બજેટ રજૂ કરે તે પહેલા જ નાણા મંત્રાલયમાં ત્રીજો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલયે નાણાકીય સેવા સચિવની બદલી કરી છે.
બજેટ પહેલાં નાણાં મંત્રાલયમાં ત્રીજા મોટા ફેરફાર અંતર્ગત ફાઇનાન્શિયસ સર્વિસ સેક્રેટરી જી એસ સંધુની ગઇકાલે મોડી રાત્રે બદલી કરી દેવામાં આવી છે. તેમની જગ્યાએ ગુજરાતના 1981 બેંચના IAS હસમુખ અઢિયાને નવા ફાઇનાન્શિયલ સર્વિસ સેક્રેટરી બનાવવામાં આવ્યાં છે.
હવે જી એસ સંધુને નેશનલ ઓથોરિટી ફોર કેમિકલ્સ વેપન્સના ચેરમેન બનાવવામાં આવ્યા છે. મહત્વની બાબત એ છે કે ફુલ બજેટ પહેલા છેલ્લા 1 મહિનામાં નાણાં મંત્રાલયમાં આ ત્રીજો મોટો ફેરફાર છે. આ પહેલાં નાણાં સચિવ અરવિંદ માયારામની બદલી કરવામાં આવી હતી. બીજા ફેરફારમાં રેવન્યુ સેક્રેટરી રાજીવ ટકરુની પણ બદલી કરવામાં આવી છે.
આ સાથે નાણાં મંત્રાલયે 50 થી વધારે અધિકારીઓની બદલી કરી છે. રાજીવ ટકરુ પણ ગુજરાત બેંચના જ IAS ઓફિસર છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી જયારથી વડાપ્રધાન બન્યા ત્યારથી ગુજરાતમાં તેમની સાથે કામ કરી ચૂકેલા આ ત્રીજા અધિકારીને દિલ્લી લઇ ગયા છે.