અમદાવાદ સ્ટોક એક્સચેન્જ સ્વૈચ્છિક રીતે બંધ થશે
અમદાવાદ, 8 જુલાઇ : મુંબઇ શેરબજાર એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ - BSE) પછી દેશનું બીજું સૌથી જુનું શેરબજાર 'અમદાવાદ સ્ટોક એક્સચેન્જ' (એએસઇ - ASE) બંધ થઇ જવાનું છે. અમદાવાદ શેર બજારે સ્વૈચ્છિક રીતે બહાર થઇ જવાનો નિર્ણય લઇ લીધો છે. આમ કરવા માટે તેણે પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.
અમદાવાદ શેરબજાર પ્રાદેશિક શેરબજાર તરીકેનું તેનું લાયસન્સ સરન્ડર કરી દેશે. આ બાબતે તેણે 5 જુલાઇ, 2014ના રોજ મળેલી અસાધારણ સામાન્ય સભામાં નિયમનકાર સેબી (SEBI - ધી સિક્યુરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા) દ્વારા સૂચવાયેલી પ્રક્રિયા સ્વીકારવાનો અને તેને અનુસરવાનો ઠરાવ કર્યો હતો.
જો કે એએસઇ મૂડીબજાર અને બ્રોકર આર્મ તરીકે પોતાની કામગીરી ચાલુ રાખશે. આ અંગે એએસઇના પબ્લિક ડાયરેકટર પી. કે. લહેરીએ જણાવ્યું હતું કે 'અમે સેબી સાથે બેઠક કરીશું અને વણઉકેલાયેલા મુદ્દાઓનો ઉકેલ લાવીશું. ત્યાર બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા પૂરી થવામાં અંદાજે બે વર્ષ જેટલો સમય લાગશે.'
નોંધનીય છે કે લગભગ બે વર્ષ પહેલા, સેબીએ બહાર પાડેલી ગાઇડલાઇન્સમાં પ્રાદેશિક શેરબજારો માટે 31મી માર્ચ, 2014 સુધીમાં સારી કામગીરી કરો અથવા બજારમાંથી દૂર થઇ જાઓ (પરફોર્મ ઓર પેરિશ)ની ડેડલાઇન નક્કી કરી હતી. અમદાવાદ શેરબજારનો 1990ના દાયકામાં સુવર્ણયુગ હતો. જ્યારે શેરબજારમાં લગભગ 4600 કંપનીઓ લિસ્ટેડ હતી. જોકે 1995ની મંદી બાદ અમદાવાદ શેરબજાર કયારેય ઉભું થઇ શકયું ન હતું.
અમદાવાદ શેરબજારની સ્થાપના એક વડના વૃક્ષ નીચે વર્ષ 1894માં એક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે કરવામાં આવી હતી. આ 120 વર્ષના સમયગાળામાં તે ઇ-ટ્રેડિંગ સુધી પહોંચ્યું છે. 31 માર્ચ, 2013ના રિપોર્ટ અનુસાર અમદાવાદ શેરબજારમાં 2,247 કંપનીઓ નોંધાયેલી છે. આમાંથી મોટા ભાગની કંપનીઓ લાગણીને કારણે જોડાયેલી છે. જો કે વર્ષ 2004થી અમદાવાદ શેર બજારમાં ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે ગયા વર્ષે રાજકોટમાં આવેલા સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્સચેન્જે સેબીની સંમતિથી સ્વૈચ્છિક બહાર નીકળી જવાની પ્રક્રિયા પૂરી કરી હતી. જ્યારે 11 જુલાઇ, 2014ના રોજ વડોદરા સ્ટોક એક્સચેન્જના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગમાં વડોદરા શેરબજારને સ્વૈચ્છિક રીતે બહાર નીકળી જવા અંગે વાતચીત શરૂ કરવામાં આવી હતી.