ભારતીય નાગરિક વર્ષે 46 લાખથી વધુ બહાર નહીં લઈ જઈ શકે
નવી દિલ્હી, 17 ઓગસ્ટ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ)એ ડોલર સામે ભારતીય રૂપિયાને નબળો પડતો અટકાવવા માટે અનેક પ્રયત્નો કર્યા છે. આરબીઆઈએ વિદેશમાં ડોલર લઈ જવા માટે વિવિધ પ્રતિબંધો મૂક્યા છે. હવે કોઈ પણ ભારતીય નાગરિક દેશની બહાર વાર્ષિક 75,000 ડોલર (અંદાજે રૂપિયા 4623636 લાખ)થી વધારે લઈ જઈ શકશે નહીં. આ સિવાય આરબીઆઈએ ભારતીય નાગરિકો પર દેશની બહાર પ્રોપર્ટી ખરીદવા માટે ડોલર લઈ જવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે.
આરબીઆઈએ કંપનીઓ માટે વિદેશી રોકાણની મર્યાદામાં પણ ઘટાડો કર્યો છે. હવે કોઈ કંપની નેટવર્થના 400 ટકાની જગ્યાએ 100 ટકા જ રોકાણ કરી શકશે. આરબીઆઈ દ્વારા લાગુ કરવામાં આવેલા ફોરેક્સના નવા નિયમો નવરત્ન સરકારી કંપનીઓ, ઓએનજીસીની વિદેશી શાખાઓ અને ઓઈલ ઈન્ડિયાને લાગુ પડશે નહીં.

આરબીઆઈએ સોનાની આયાત પર વધુ પ્રતિબંધો મૂકી દીધા છે. હવે સોનાની આયાત માટે ડીજીએફટીની મંજૂરી લેવી પડશે, તે સાથે આરબીઆઈ દ્વારા સોનાના સિક્કાની આયાત ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ વિશે આરબીઆઈ દ્વારા ખૂબ ટૂંક સમયમાં નોટીફિકેશન રજૂ કરી દેવામાં આવશે.
આર્થિક ક્ષેત્રે નિષ્ણાત અરવિંદ માયારામના જણાવ્યા પ્રમાણે આરબીઆઈએ વિદેશી કરન્સીના આઉટફ્લોને રોકવા માટે આ પ્રમાણેના પગલાઓ લીધા છે. આરબીઆઈ અને કેન્દ્ર સરકાર દ્વારા ડોલર સામે રૂપિયાની નરમાઈને રોકવા માટે દરેક પગલા લેવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી તેઓ રૂપિયાને નબળો થતો અટકાવવામાં સફળ થયા નથી.












Click it and Unblock the Notifications
