ઇન્દિરા આવાસ યોજનાની આર્થિક સહાયમાં વધારો
સરકારે ઇન્દિરા આવાસ યોજના અંતર્ગત પહાડી તથા અન્ય દુર્ગમ વિસ્તારોમાં મકાન બનાવવા માટેની આર્થિક સહાયની રકમ 48,500 રૂપિયાથી વધારીને રૂપિયા 75,000 કરી છે. આ ઉપરાંત મકાન બનાવવા માટે જમીન ખરીદવા માટે કરવામાં આવતી મદદ રૂપિયા 10,000થી વધારીને રૂપિયા 20,000 કરવામાં આવી છે. આ રકમ ચાર ટકાના વ્યાજ પર ઉપલબ્ધ બનશે.
નાણા મંત્રી પી ચિદમ્બરમે જણાવ્યું કે કેન્દ્રી મંત્રીમંડળે ગ્રામીણ વિકાસ મંત્રાલયના આ હેતુના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેમણે જણાવ્યું કે પડતર ખર્ચામાં વધારો થવાના મુદ્દાને ધ્યાનમાં રાખીને સંબંધિત પક્ષોએ આ યોજનાની સહાય વધારવા માટે અપીલ કરી હતી.
ગ્રામીણ વિકાસ મંત્રાલયની દરખાસ્તમાં ગરીબી રેખાથી નીચે જીવતા (બીપીએલ) પરિવારોને ઇન્દિરા આવાય યોજના અંતર્ગત મદદની રકમ વધારીને 45,000 રૂપિયાથી વધારીને રૂપિયા 75,000 કરવાની દરખાસ્ત હતી. જ્યારે નાણા મંત્રાલય આ રકમ 65,000 રૂપિયા કરવાનો આગ્રહ કરી રહ્યું હતું.
એવી જ રીતે ગ્રામીણ વિકાસ મંત્રાલયે પહાડી વિસ્તારો માટેની મદદ રાશિ 48,500થી વધારીને રૂપિયા 80,000 કરવાની દરખાસ્ત મૂકી હતી. આ અંગે ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે આ દરખાસ્તો માટે વચગાળાનો રસ્તો કાઢ્યો છે.