કોટક મહિન્દ્રા બેંકે જોખમ લઇને ING વૈશ્ય બેંક હસ્તગત કરી
મુંબઇ, 21 નવેમ્બર : કોટક મહિન્દ્રા બેન્કે ગણતરીપૂર્વકના જોખમ સાથે બેંગલુરુની આઇએનજી વૈશ્ય બેન્કને હસ્તગત કરી છે. આ સોદામાં સંપૂર્ણપણે શેરની આપ-લે કરાશે. નવી ખાનગી બેન્કો ભારતીય બેન્કિંગ સેક્ટરમાં પ્રવેશે એ પહેલાં કોટક બેન્કે પોતાના બ્રાન્ચ નેટવર્કનું વિસ્તરણ કરવાના હેતુથી એક્વિઝિશન કર્યું છે. બંને બેન્કે ગુરુવારે સાંજે મર્જરની જાહેરાત કરી હતી.
મર્જરના ભાગરૂપે આઇએનજી વૈશ્યના શેરધારકોને 1,000 શેર સામે કોટક બેન્કના 725 શેર મળશે. અગ્રણી ડચ કંપની આઇએનજી હાલ આઇએનજી વૈશ્યમાં 42.73 ટકા હિસ્સો ધરાવે છે. મર્જર પછીની નવી બેન્કમાં આઇએનજીનો હિસ્સો લગભગ 25.3 ટકા થશે. આ સાથે તે સૌથી મોટી નોન-પ્રમોટર શેરધારક બનશે.

આઇએનજીએ મર્જર પછી એક વર્ષના સ્વૈચ્છિક લોક-ઇન માટે સંમતિ આપી છે. બંને બેન્કે જણાવ્યું હતું કે 'આઇએનજી વૈશ્યની તમામ શાખા અને કર્મચારીનું કોટકમાં રૂપાંતર થશે. ટ્રાન્ઝેક્શન શેરધારકો, રિઝર્વ બેન્ક, કોમ્પિટિશન કમિશન (CCI) અને અન્ય એજન્સીઝની મંજૂરીને આધીન છે.'
બેન્કિંગ સેક્ટરના નિષ્ણાતોના મતે આ કોટક માટે એક તક હતી. બેન્ક આગામી વર્ષોમાં ભારતના જીડીપીની વૃદ્ધિ સાથે નોંધપાત્ર વિકાસનો અંદાજ ધરાવે છે. પીડબલ્યુસી ઇન્ડિયાના ફાઇનાન્શિયલ સર્વિસિસના એસોસિયેટ ડિરેક્ટર રોબિન રોયે જણાવ્યું હતું કે 'બેન્કિંગ સેક્ટરમાં લાંબા ગાળાની દૃષ્ટિ રાખવી જરૂરી છે. આપણે જોયું છે કે, બજાર આધારિત મર્જર-એક્વિઝિશનમાં સમયાંતરે શેરધારકો માટે નોંધપાત્ર મૂલ્યસર્જન થયું છે.'
પ્રસ્તાવિત મર્જરને કારણે સંયુક્ત બેન્કની કુલ શેરમૂડીનો લગભગ 15.2 ટકા હિસ્સો ઇશ્યૂ કરાશે. મર્જર પછી કોટકના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન અને એમડી ઉદય કોટકનો હિસ્સો હાલના 39.71 ટકાથી ઘટીને 29.9 ટકા થશે, જે રિઝર્વ બેન્કની માર્ગરેખા સાથે સુસંગત છે.












Click it and Unblock the Notifications
