ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા મારુતી સુઝુકી 4000 કરોડ રોકશે
ગાંધીનગર, 5 જૂન : ગુજરાતમાં આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા ત્યાર બાદ રાજ્યમાં સૌથી મોટું રોકાણ કરવાની ઓફર મારુતી સુઝુકી તરફથી કરવામાં આવી છે. આ સંદર્ભમાં કંપનીના અધિકારીઓ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળ્યા હતા. મારુતી સુઝુકીના અધિકારીઓના જણાવ્યા અનુસાર મારૂતિ સુઝુકી ગુજરાતમાં રૂપિયા 4 હજાર કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ વર્ષ 2017 સુધીમાં કાર્યરત થવાનો અંદાજ છે.
વાસ્તવમાં મારુતિના હાંસલપુર પ્લાન્ટ મામલે ગુજરાત સરકાર અને કંપની વચ્ચે ગુંચવણની સ્થિતિ ઉભી થઈ છે. મારુતિ સુઝૂકી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે જાન્યુઆરી મહિનામાં હાંસલપુર પ્લાન્ટ અંગેના અંકુશની સત્તા જાપાન સ્થિત તેની મૂળ કંપની સુઝૂકી મોટો કોર્પને સોંપ્યાં હતા.
બીજી તરફ રાજ્ય સરકારે મારુતિ સુઝૂકી કંપની સાથે કરાર કર્યા છે, આ કંપની ભારતીય હોવાને કારણે રાજ્ય સરકારે તેને વેરામાં માફી આપી છે. હવે હાંસલપુર પ્લાન્ટ અંગેના અંકુશની સત્તા જાપાનની સુઝુકી મોટો કોર્પ પાસે હોવાથી તેને વેરામાં રાહત આપવી કે નહીં તે મુદ્દે ગુંચવણ ઉભી થઇ છે.
સુઝૂકી મોટો કોર્પને ગુજરાતના પ્લાન્ટની સત્તા સોંપાય તો પ્લાન્ટમાં રોકાતી મુડી વિદેશી રોકાણ ગણાય. જેને કારણે કરાર મુજબ મારુતિ સુઝૂકીને વેરામાં જે માફીઓ મળી છે તે માફી સરકાર આપી ન શકે. આ સ્થિતિમાં બંનેના હિતમાં શું કરી શકાય તેની ચર્ચા કરવા માટે કંપનીના અધિકારીઓ આનંદીબેન પટેલને મળ્યા હતા.
મારુતિ સુઝૂકીના ચેરમેન આર.સી.ભાર્ગવ આજે ગુજરાતના નાણાં મંત્રી અને ચીફ સેક્રેટરીને પણ મળ્યા છે. તેમણે આશાવાદ વ્યકત કર્યો છે કે બે કંપનીઓ વચ્ચે કેટલીક ટેકનીકલ બાબતો છે, જેને લઈને સરકાર સાથે ચર્ચા થઈ છે જેનો ઉકેલ જલદી આવી જશે.