ખાદ્ય તેલની આયાત પર મોદી સરકારે ખતમ કર્યો ટેક્સ, જલ્દી મળશે મોંઘા ભાવથી રાહત
કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ પર આયાત કર ખતમ કરવાનો નિર્ણય લીધો છે.
નવી દિલ્લીઃ ખાદ્ય તેલની વધતી કિંમતોને નિયંત્રિત કરવા માટે અને તેના પુરવઠામાં આવેલી કમીને ઘટાડવા માટે કેન્દ્ર સરકારે સોયાબીન અને સનફ્લાવરના તેલ પર આયાત કર ખતમ કરવાનો નિર્ણય લીધો છે. ગ્રાહકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે 20 લાખ મેટ્રિક ટન ખાદ્ય તેલની વાર્ષિત આયાત પર કસ્ટમ ડ્યુટી અને એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર ડેવલપમેન્ટ સેસને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. નાણા મંત્રાલય તરફથી જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે તે મુજબ આ આદેશ 25 મે, 2022થી 31 માર્ચ, 2024 સુધી લાગુ રહેશે.
CBICએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યુ છે કે કેન્દ્ર સરકારે 20 લાખ મેટ્રિક ટન ક્રૂડ સોયાબીન અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ પર બે વર્ષ માટે કસ્ટમ ડ્યુટી અને કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસ દૂર કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી ગ્રાહકોને મોટી રાહત મળશે. તમને જણાવી દઈએ કે કાચા તેલની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો હતો. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ હવે સરકારે તેના પરનો ટેક્સ નાબૂદ કર્યો છે. જેના કારણે ખાદ્યતેલોના ભાવ ટૂંક સમયમાં ઘટશે.
તમને જણાવી દઈએ કે ભારત વનસ્પતિ તેલનો વિશ્વનો સૌથી મોટો આયાતકાર દેશ છે. ભારત 60 ટકા ખાદ્યતેલ બહારથી આયાત કરે છે. રશિયા અને યુક્રેન વચ્ચે જે રીતે યુદ્ધ ચાલી રહ્યુ છે તેના કારણે ખાદ્ય તેલના ભાવમાં ભારે વધારો થયો છે. તેલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતમાં સૂર્યમુખી તેલની આયાત મુખ્યત્વે યુક્રેન અને રશિયાથી થતી હતી પરંતુ યુદ્ધના કારણે તેની આયાત પર અસર પડી છે.