Pahalgam Terror Attack : પહેલગામ હુમલાના પીડિતોને NSE એક કરોડ રૂપિયાની મદદ કરશે
Pahalgam Terror Attack : 22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા છે.
આ દુ:ખદ ઘટનાએ સમગ્ર દેશમાં શોક અને આક્રોશનું વાતાવરણ ઊભું કર્યું છે. આ મુશ્કેલ સમયમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ પીડિત પરિવારોની મદદ માટે 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરી છે.

NSEના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષ ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું કે, પહેલગામમાં થયેલા આ આતંકી હુમલાથી અમે ઊંડા દુ:ખી છીએ. આ હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો. NSE પીડિત પરિવારોની સાથે ઊભું છે અને તેમની મદદ માટે 1 કરોડ રૂપિયાની સહાય આપશે.
આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ પણ આ હુમલામાં ઘાયલ થયેલા લોકો માટે સહાયનો હાથ લંબાવ્યો છે. કંપનીએ જાહેરાત કરી કે મુંબઈ સ્થિત રિલાયન્સ ફાઉન્ડેશન સર એચ એન હોસ્પિટલમાં ઘાયલોની સારવાર મફતમાં કરવામાં આવશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, અમે અને રિલાયન્સ પરિવાર પહેલગામના આ નિર્દય આતંકી હુમલાની નિંદા કરીએ છીએ. અમે મૃતકોના પરિવારો પ્રતિ ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ.
મુકેશ અંબાણીએ આતંકવાદ સામે સખત વલણ અપનાવતાં કહ્યું કે, આતંકવાદ માનવતાનો દુશ્મન છે. તેને કોઈપણ સ્વરૂપે સમર્થન ન મળવું જોઈએ. અમે વડાપ્રધાન, ભારત સરકાર અને સમગ્ર દેશ સાથે આતંકવાદ સામેની આ નિર્ણાયક લડાઈમાં એકજૂટ છીએ.
આ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. દેશભરમાં આ હુમલાને લઈને શોક અને ગુસ્સો વ્યાપી ગયો છે.












Click it and Unblock the Notifications
