લેબર લૉના પાલન માટે 16 ઓક્ટોબરે મોદી લોન્ચ કરશે પોર્ટેબલ PF એકાઉન્ટ
નવી દિલ્હી, 12 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 ઓક્ટોબર, 2014ના રોજ પોર્ટેબલ પીએફ (પ્રોવિડન્ડ ફંડ - PF) એકાઉન્ટ સહિત કામદારો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને એક સંકલિત વેબ પોર્ટલ શરૂ કરવાના છે. આ સમગ્ર યોજનાઓનો હેતુ લેબર લૉ (શ્રમ કાયદા)નું પાલન યોગ્ય રીતે થાય અને તેમાં ગેરરીતી આચરતી કંપનીઓ કે પેઢીઓની તપાસ કરી શકાય તે માટે છે.
આ બાબત અંગે શ્રમ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર 'વડાપ્રધાન 16 ઓક્ટોબરના રોજ કામદારો માટે વિવિધ યોજનાઓના શુભારંભ સંદર્ભમાં યોજવામાં આવેલા સમારોહની અધ્યક્ષતા કરશે. તેમાં ઇપીએફઓ (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) અને કંપનીઓની સંકલિત તપાસ માટે એક વેબ પોર્ટલનો સમાવેશ કરવામાં આવ્યો છે.'
આ ઉપરાંત શ્રમ મંત્રાલયે ઔદ્યોગિક પ્રશિક્ષણને પ્રોત્સાહિત કરવા માટેના પ્રયાસો અંતર્ગત આ પ્રકારની સંસ્થાઓમાંથી પાસ થયેલા અને વિવિધ કંપનીઓના ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલી કેટલીક વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું કે ઔદ્યોગિક પ્રશિક્ષણ સંસ્થાનનું બ્રાન્ડિંગ કરવામાં આવ્યું નથી. આ માટે મંત્રાલયે આ વ્યક્તિઓની ઓળખ પોતાની સંસ્થાઓના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરી છે. તેના પગલે આ સંસ્થાઓની સકારાત્મક બ્રાન્ડિંગ થશે. જેના દ્વારા લોકો તેમાં પોતાની નોંધણી કરાવી શકશે. આ સાથે તેને પોતાના પ્રથણ વિકલ્પ તરીકે પસંદ પણ કરી શકશે.
વર્તમાન સમયમાં એન્જીનીયર બનવાની ઇચ્છા ધરાવનાર આઇઆઇટી, એનઆઇટી અને વિવિધ ખાનગી એન્જીનીયરિંગ કોલેજોને પ્રાથમિકતા આપે છે. બીજી તરફ આઇટીઆઇને અંતિમ વિકલ્પમાં રાખે છે. યુનિવર્સલ એકાઉન્ટ નંબર મળવાથી તેના સભ્યોને એક જ ખાતા નંબર દરેક જગ્યાએ ચાલુ રાખવામાં મદદ મળશે. ભારતમાં તેનો ક્યાંય પણ ઉપયોગ કરી શકાશે. જો વ્યક્તિ સંગઠિત ક્ષેત્રમાં પોતાની નોકરી બદલશે તો કામદારોને પોતાના પીએફ ખાતાને સ્થાનાંતરિત કરવા માટે અરજી કરવાની જરૂર રહેશે નહીં.