રઘુરામ રાજન - અરૂણ જેટલીએ ફુગાવો, અર્થતંત્ર અંગે ચર્ચા કરી
નવી દિલ્હી, 27 મે : આજે દેશના નવા નાણાં અને ઉદ્યોગ બાબતોના પ્રધાન અરૂણ જેટલી અને ભારતીય રીઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજન વચ્ચે બેઠક યોજાઇ હતી. અત્યંત મહત્વની ગણાતી બેઠકમાં બંનેએ મોંઘવારીને ઘટાડવાની ખાતરી આપી છે. આ ઉપરાંત તેમણે દેશના અર્થતંત્રની ગાડી પાટે લાવવા માટે કેવા પ્રયાસો કરવા તે અંગે પણ ચર્ચા કરી છે.
રીઝર્વ બેન્કની આર્થિક નીતિની સમીક્ષા પૂર્વે રાજન આજે અરૂણ જેટલીને મળ્યા હતા. રાજને બાદમાં પત્રકારોને કહ્યું કે કેન્દ્ર સરકાર અને આરબીઆઈ, બંને ફૂગાવાને અંકુશમાં રાખવા માટે પ્રયત્નશીલ છે. રાજન અને જેટલી વચ્ચે લગભગ 50 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી.

રાજને જણાવ્યું કે, ફૂગાવાને અંકુશમાં લાવવો તે મહત્વની કામગીરી છે. સરકાર અને આરબીઆઈ તેમાં પ્રવૃત્ત છે. અરૂણ જેટલીએ આજે નાણાં પ્રધાન તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ આર્થિક વિકાસદરમાં થયેલા ઘટાડાને રોકવા અને ફૂગાવાના આંકને કાબૂમાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
અરૂણ જેટલીએ કહ્યું છે કે સરકાર ખાતરી આપે છે કે મોંઘવારીને કાબૂમાં રાખવામાં આવશે, અર્થતંત્રમાં ઈન્વેસ્ટરોનો વિશ્વાસ પ્રસ્થાપિત કરવામાં આવશે અને નાણાકીય ખાધને અંકુશમાં રાખી આર્થિક વિકાસને વેગ આપવામાં આવશે. ઉંચા ફૂગાવાના દરને લીધે આરબીઆઈને તેના વ્યાજના દરો ઉંચા રાખવાની ફરજ પડી છે.












Click it and Unblock the Notifications
