રિલાયન્સ જિયોનો આરોપ, ખોટો પ્રચાર કરી રહી છે એરટેલ અને વોડાફોન-આઈડિયા
રિલાયન્સ જિયોએ ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયાને પત્ર લખીને વોડફોન-આઈડિયા અને એરટેલની ફરિયાદ કરી છે.
નવી દિલ્લીઃ કૃષિ બિલ માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ આંદોલમાં હવે ટેલિકોમ સેક્ટરની પણ એન્ટ્રી થઈ ગઈ છે. રિલાયન્સ જિયોએ ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઈન્ડિયાને પત્ર લખીને વોડફોન-આઈડિયા અને એરટેલની ફરિયાદ કરી છે. રિલાયન્સ જિયોએ આરોપ લગાવ્યો છે કે વોડાફોન-આઈડિયા અને એરટેલ, પંજાબના ખેડૂત આંદોલનનો લાભ ઉઠાવી રહ્યા છે. ટેલિકોમ સેક્રેટરી એસ કે ગુપ્તાને લખેલા પત્રમાં રિલાયન્સ જિયોએ વોડાફોન-આઈડિયા અને એરટેલ માટે કહ્યુ કે બંને કંપનીઓએ ટ્રાઈના નિયમોનુ ઉલ્લંઘન કર્યુ છે.
તેમણે પત્રમાં લખ્યુ છે કે વોડાફોન-આઈડિયા અને એરટેલ ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં ગ્રાહકોને પોતાની તરફ ખેંચવા માટે અનૈતિક રસ્તા અપનાવી રહ્યા છે. તેમણે કહ્યુ કે ખેડૂતો આંદોલનથી ઉપજેલ આક્રોશનો ફાયદો ઉઠાવવા માટે કંપનીઓ ખોટા પ્રચારનો સહારો લઈ રહી છે. જિયોએ કહ્યુ કે આ પહેલા 28 સપ્ટેમ્બરે તેમના તરફથી ટ્રાઈને પત્ર લખવામાં આવ્યો હતો પરંતુ આ અંગે કાર્યવાહી કરવામાં આવી નથી અને આ બંને કંપનીઓ કાયદાને ઠેંગો બતાવીને નકારાત્મક પ્રચાર પહેલાની જેમ જ કરી રહી છે.
રિલાયન્સ જિયોનો આરોપ છે કે આ બંને પ્રતિસ્પર્ધી કંપનીઓ પોતાના કર્મચારીઓ, એજન્ટ્સ અને રિટેલર્સ દ્વારા રિલાયન્સ વિરુદ્ધ નેગેટીવ કેમ્પેઈન ચલાવી રહી છે. ગ્રાહકોને ખોટી રીતે લલચાવીને રિલાયન્સ જિયોથી પોર્ટ કરાવવાની કોશિશોનો પણ જિયોએ વિરોધ કર્યો છે. એરટેલ અને વોડા-આઈડિયા ગ્રાહકોને કઈ રીતે ગુમરાહ કરી રહ્યા છે તેના ફોટો અને વીડિયો પુરાવા પણ રિલાયન્સ જિયોએ ટ્રાઈને સોંપ્યા છે. રિલાયન્સનો એ પણ આરોપ છે કે વોડા-આઈડિયા અને એરટેલ પોતાને ખેડૂતોના હિતેચ્છુ અને રિલાયન્સ જિયોને ખેડૂત વિરોધી ગણાવીને આંદોલનને હવા આપવાનુ કામ કરી રહ્યા છે.
'કેપ્ટન સાહેબ ભાજપ તમને ડબલ સ્ટાન્ડર્ડ કેમ નથી કહેતા'